ભારતીયો દ્વારા આત્મહત્યા કરવાના સૌથી મોટા કારણોમાં લગ્ન પછી પારિવારિક સમસ્યાઓ અને બીમારીઓ હોવાનો ખુલાસો થયો છે. શુક્રવારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ ૨૦૧૫ની સરખામણીએ ૨૦૧૬માં સમગ્ર દેશમાં આત્મહત્યાના કેસોમાં ઘટાડો થયો હતો. ૨૦૧૫માં પ્રતિ એક લાખ વસ્તી પર આત્મહત્યાનું પ્રમાણ ૧૦.૬ ટકા હતું જે ૨૦૧૬માં ઘટીને ૧૦.૩ ટકા પર આવ્યું હતું. જો કે રાષ્ટ્રીય સ્તરે ૧૦.૩ ટકાના પ્રમાણની સરખામણીએ ૨૦૧૬માં શહેરોમાં આત્મહત્યાનું પ્રમાણ ૧૩ ટકા નોંધવામાં આવ્યું હતું.
આંકડાઓ જાહેર કરતા દ્ગઝ્રઇમ્એ સ્પષ્ટતા કરી હતી કે, આત્મહત્યા કરવા પાછળ સૌથી મોટા કારણોમાં લગ્ન પછી પારિવારિક સમસ્યાઓ છે જેના લીધે આત્મહત્યાનું પ્રમાણ ૨૯.૨ ટકા છે. બીમારીને કારણે આત્મહત્યા કરવાનું પ્રમાણ ૧૭.૧ ટકા છે. આ સિવાય લગ્નને કારણે ૫.૩ ટકા આત્મહત્યાનું પ્રમાણ ત્રીજા સ્થાને છે. જ્યારે ચાર ટકા લોકો કેફી પદાર્થો કે દારુના સેવનને કારણે આત્મહત્યા કરે છે.
ભારતમાં દુર્ઘટનાગ્રસ્ત મોત અને આત્મહત્યા સંબંધી વાર્ષિક રિપોર્ટમાં ૩૬ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત રાજ્યો અને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા ૫૩ મહાનગરોના આંકડાઓને એકત્રિત કરીને એનસીઆરબી દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.
એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ દુર્ઘટનામાં થતી મોતના પ્રમાણમાં કોઇ ફેરફાર આવ્યો નથી, જે ૨૦૧૬માં પ્રતિ એક લાખ વસ્તી પર ૩૨.૮ ટકા હતું. અહેવાલ મુજબ ૨૦૧૬માં ૮,૬૮૪ લોકોના કુદરતી કારણોસર મોત થયા હતા, જેમાં ૩૮.૨ ટકા મોત વીજળી પડવાને કારણે, ૧૫.૪ ટકા મોત લૂ લાગવાને કારણે અને ૮.૯ ટકા મોત પૂરને કારણે થઇ હતી. વર્ષ ૨૦૧૬માં કુલ ૪,૦૯,૫૩૭ લોકોની મૃત્યુ અન્ય દુર્ઘટનાઓમાં થઇ હતી, જેમાં સૌથી વધારે ૪૩.૩ ટકા મોત રોડ અકસ્માતમાં થયા હતા. આ પ્રમાણમાં ૧૦.૨ ટકા આકસ્મિક મોત, ૭.૩ ટકા પાણીમાં ડૂબવાને કારણે, ૫.૯ ટકા મોત ઝેરને કારણે, ૪.૧ ટકા મોત આકસ્મિક આગ લાગવાને કારણે થયા હતા.
પાછલી પોસ્ટ