ક્રુર બનેલા પતિએ પત્ની સાથે દોઢ વર્ષના પુત્રને નર્મદા કેનાલમાં ધસમસતા વહેણમાં ધક્કો મારી દઇને હત્યા કરી હોવાનો કમકમાટીભર્યો બનાવ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઝાંખરપુરા નજીક બન્યો હતો. બોડેલી તાલુકાના ભરદા ગામેથી વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામે પત્નીને પિયર લઇ જવાનું કહીને ઘાતકી પતિ પત્ની અને પુત્રને બાઇક પર બેસાડીને નીકળ્યો હતો. રસ્તામાં કેનાલ બ્રિજ પર ઉભો રહીને પત્ની અને પુત્રને ધક્કો મારીને કેનાલમાં ધકેલી દીધા હતા. મૃત યુવતીની લાશ વાઘોડિયાના સરણેજ ગામેથી મળી હતી જ્યારે બાળકની શોધખોળ હજી ચાલુ છે. જો કે પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર બોડેલી તાલુકાનાં ગુલાબ દામનસિંહ પરમારનાં લગ્ન વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામની જયા નામની યુવતી સાથે થયા હતા. તેઓને બે સંતાનોમાં સિદ્ધાર્થ (ઉ.૧૩) અને દક્ષરાજ (ઉ.દોઢ વર્ષ)ના પુત્રો છે. ગત તારીખ ૧૬મીએ સવારે ગુલાબ બાઈક લઈને ભોરદાથી રાજપુરા જવાનું કહીને નીકળ્યો હતો. પત્ની જયા અને દોઢ વર્ષનાં પુત્ર દક્ષરાજને લઈને નીકળ્યો હતો. બોડેલી નજીક અલ્હાદપુરાનાં બ્રિજ પર થઈને ઝાંખરપુરા પાસે બાઈક ઉભું રાખ્યું હતું. આ સ્થળ પર તેણે રાખ્યુ હતુ. જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારીને પાણીનાં ધસમસતા ઊંડા વહેણમાં ફેંકી દીધા હતા. આ ઘટના બાદ ગુલાબ પરમાર તેના ઘરે જતો રહ્યો હતો.
સાંજે ગુલાબનાં પિતાએ જયાનાં પિતા દોલતસિંહને ફોન કરીને કહ્યું કે ગુલાબ, જયા અને દક્ષરાજને લઇને બાઇક પર નીકળ્યા છે, ત્યાં આવ્યા છે ? તો જયાનાં પિતાએ ના પાડી હતી જેથી બીજા દિવસે તા.૧૭ નાં રોજ રાજપુરાથી ભાડે ગાડી કરીને જયાનાં પિતા, કાકા અને ભાઈ તમામ ભોરદા ગયા હતા. જયા અને પુત્ર વિશે પૂછ્યું, તો ગુલાબ સ્પષ્ટ જવાબ આપતો ન હતો, ત્યારે પોલીસ પાસે લઈ જવાનું કહીને ગાડીમાં બેસાડ્યો હતો. ગુલાબે પત્ની અને પુત્રને જે જગ્યાએથી ધક્કો માર્યો હતો, ત્યાં ગાડી ઉભી રખાવીને ગુલાબે કબૂલાત કરીને કહ્યું, કે બોલાચાલી થતા પત્ની જયા અને દોઢ વર્ષનાં પુત્રને કેનાલમાં ધક્કો મારીને પાડી દીધા હતા જેના પગલે તાત્કાલીક કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. આખરે વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામ પાસે કેનાલમાંથી જયાની લાશ મળી આવી હતી. જરોદ પોલીસે ત્યાં પહોંચીને લાશનો કબજો મેળવીપીએમ રૂમમાં મૂકી હતી. બીજી તરફ બાળકની શોધખોળ હાથ ધરી હતી.
પિતા દોલતસિંહની ફરિયાદને આધારે બોડેલી પોલીસે આરોપી પતિ અને પિતા ગુલાબની પત્ની અને પુત્રનાં મોત બદલ અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના પાછળ પતિ પત્ની વચ્ચેનો ઝઘડો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)