છોટાઉદેપુર નગરમાં હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબની દરગાહ આવેલી છે જ્યાં હિન્દુ – મસ્લિમ ભક્તો શ્રદ્ધા ભક્તિ સાથે માથુ નમાવે છે, મોટામિયા માંગરોળ ગાદીના સજ્જાદા નશીન કોમી એકતાના હિમાયતી, ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશ આપનાર, એક સમ્પીના ચાહક સૈયદ હાજી પીર નિઝામુદ્દીન બાવા સાહેબનો બે દિવસીય ઉર્સમેળો શનિવાર અને રવિવારના દિવસે ઉજવવામાં આવ્યો. ઉર્સની શરૂઆત તા.૧૩ના રોજ રાત્રે ૧૦ કલાકે (ગુસલ) ખિદમતથી થઈ હતી. શનિવારે રોજ સંદલ શરીફ અને રવિવારે ઉર્સ ઉજવવામાં આવ્યો હતો. આ બંન્ને દિવસોએ સંદલ અને ચાદરના જુલુસ સાંજે ૫ કલાકે કસ્બા કવાંટ રોડથી નીકળી નગરના મુખ્ય માર્ગોએ ફરી દરગાહ ખાતે પૂર્ણ થયું હતું.
આ સાથે મોટામિંયા માંગરોમની ગાદીના ખલિફા બહાદરઅલી શાહ બાવા સાહેબ અને મખદૂમ મહંમદ શાહ બાવા સાહેબના ઉર્સ પણ ઉજવવામાં આવ્યો હતો. ઉર્સ મેળામાં દેશભરમાંથી હિન્દુ – મુસ્લિમ ભક્તો આવતા હોય છે. બે દિવસ ચાલતા ઉર્સ મેળામાં દરરોજ રાત્રે દરગાહમાં ભજન અને કવ્વાલીના કાર્યક્રમ યોજાયો. આ ઉર્સમાં ભાગ લેવા બાવા સાહેબના ભત્રીજાઓ સૈયદ હાજી કદી પીરજાદા બાવા સાહેબ અને સૈયદ રફીક પીરજાદા બાવા સાહેબ ખાસ પધાર્યા હતાં. આ ઉર્સ મેળાને સફળ બનાવવા મુખ્ય આયોજક નિશારભાઈ ભગત તથા કાર્યકરો ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)