પટેલ તેમજ વેરાવળ પાટણ સનાતન હીન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ તેમજ ગુજરાત મેરી ટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોર મોહનભાઈ કુહાડા બંધુઓની અધ્યક્ષતામા ભવ્ય શોભા યાત્રા નીકળેલ હતી. તેમજ ખારવા સમાજના આગેવાનો, પંચ પટેલશ્રી જોડાયા હતા આ શોભાયાત્રામાં વિવિધ સમાજો, મંડળો, વિવિધ રાજકીય, સામાજીક આગેવાનો, મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો દ્વારા ફુલહાર, ઠંડા પીણાથી સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામા લોકો જોડાયા હતા અને અનેરા ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
વેરાવળમાં શ્રી રામદેવપીર બાપાની ધજા ખારવા સમાજ સાથે અન્ય હિન્દુ સમાજનાં લોકોએ ભારે ઉત્સાહથી ઉજવી હતી.
સુપ્રસિઘ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં આવેલ આશરે ચારસો વર્ષ જુનું શ્રી રામદેવપીરનું જાલેશ્વર ખાતે મંદિર આવેલ છે. પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્વારા ભાદરવા સુદ અગિયારસના રોજ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જાલેશ્વર ખાતેના મંદિરે ધ્વજારોહણ અને પૂજન બાદ પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રની દરીયાઇ પટ્ટી ઉપર વસતા માછીમાર સમાજના ઇષ્ટદેવ શ્રી રામદેવપીરનો વરઘોડો કાઢવામાં આવે છે. આ ઉજવણી સમસ્ત ખારવા સમાજ દ્વારા વેરાવળમાં કરવામાં આવે છે અને આ ઉજવણી પ્રસંગે ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી રામાપીરનો વરઘોડો નીકળે છે જે અરબી સમુદ્રના કિનારે આવેલ જાલેશ્વર ખાતે રામદેવપીર મંદિરે પહોંચી ત્યાં સમગ્ર ખારવા ભાઇઓ-બહેનો તથા અન્ય હિન્દુ સમાજના લોકોની ઉપસ્થિતિમાં ઘ્વજા રોહણની પૂજન વિધી થાય છે અને બાદમાં દર્શન કરી પ્રસાદી લઇ સૌ છુટા પડે છે ત્યારે આ જાલેશ્વર ખાતે મીની મેળા જેવું દૃષ્ય જોવા મળે છે. વેરાવળ શહેર અરબી સમુદ્રના કિનારે આવેલ છે અને અહીં ખારવા સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારોનો છે ત્યારે અત્રેના જાલેશ્વર ખાતે વર્ષો પહેલા જુનો ટીંબો હતો અને તે જગ્યા પર શ્રી સરભંગઋષી તપસ્યા કરી રહેલ હતા અને ત્યારબાદ એક સાધુ તપસ્યા કરી રહેલ અને તે સમયે માછીમાર ભાઇઓ મચ્છી મારવા માટે આવતા અને રાત્રિના સમયે સાધુ પાસે બેસી સંત્સગની વાતો કરી સમય પસાર કરતા હતા તેવામાં એક દિવસ એક માચીમાર સમુદ્રના કિનારે મચ્છી પકડવા માટે જાળ નાખેલ તેમને અદભુત અનુભવ થયો અને એક શિવજીના આકારનો પથ્થર હાથ લાગ્યો, આ પથ્થરની ચકાસણી કરવા સાધુ પાસે લઇ ગયેલ જયાં પથ્થરમાંથી અવાજ નીકળેલ અને અમો ભગવાન ભોલેનાથ છે તેવો ગેબી અવાજ સંભળાતા ઉપતસ્થિત સાધુ અને માછીમાર ભાઇઓએ આ સ્થળે પ્રાણ પ્રતિષ્ઠા કરેલ હતી. આ રીતે અરબી સમુદ્રના ઘુઘંવતા કિનારે ભગવાન શ્રી જાલેશ્વર મહાદેવ બિરાજમાન છે તેમજ રામાપીરનું મંદિર આવેલ છે.
આ સ્થળે સર્વે માછીમાર ખારવા ભાઇઓએ ભગવાન શ્રી રામાપીરની સ્થાપના કરેલ અને આજે સ્થાપનાને ઓછામાં ઓછા ચારસો વર્ષ થયા હોવાનું મંદિરના મહંત પ્રભુદાસ હરીયાણી જણાવી રહેલ છે. આ મંદિરમાં ઇ.સ. ૧૯૪૫થી દરરોજ પૂજા-અર્ચના મહંત પ્રભુદાસ ગોરધનદાસ હરીયાણી કરી રહેલ છે અને દર વર્ષે રામાપીરના જન્મ જયંતી પ્રસંગે નીકળતી ભવ્ય શોભાયાત્રામાં એક ઘોડા ઉપર મહંત પ્રભુદાસ ગોરધનદાસ હરીયાણી બેસે છે ત્યારે છેલ્લા થોડા વર્ષથી તેઓની જગ્યાએ તેમના પુત્ર ગોપાલદાસ પ્રભુદાસ હરીયાણી બેસે છે.
જાલેશ્વર ખાતે આવેલ આ રામાપીરના મંદિર તેમજ સુપ્રસિઘ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના મંદિર વેરાવળ-પાટણ શહેરના બંન્ને છેડે આવેલ છે તેથી એક લોકવાયકા એવી પણ છે કે, વેરાવળ-પાટણ શહેરમાં જયારે પણ કુદરતી આફત-વાવાઝોડા આવે છે ત્યારે આ જોડીયા શહેર ગમે તેવી મહામુસીબતમાંથી પણ બહાર નીકળી જાય છે અને લોકો જાનહાનીથી બચી જાય છે તેના મુખ્ય કારણમાં એક તરફ બાર જ્યોર્તિલિંગ પૈકીનું પ્રથમ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર તેમજ બીજી તરફ ભગવાન શ્રી જાલેશ્વર મહાદેવ તથા શ્રી રામાપીરનું મંદિર આવેલ છે. આમ, ભગવાન શ્રી રામાપીરને વેરાવળ ખાતે ખારવા સમાજ, કોળી સમાજ સહિતના દરેક હિન્દુ સમાજના લોકો શ્રઘ્ધાપૂર્વક માની અને ઘ્વજારોહણના દિવસે જાલેશ્વર ખાતે દર્શને જતા મેળાનો આનંદ માણે છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)