શહેરના વાઘોડિયા રોડ ડીમાર્ટ નજીક આવેલા ભાથુજીનગરના ત્રણ યુવાનો તાજેતરમાં પંચમહાલ જિલ્લાના બાઠવા ગામે તળાવમાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા. ખેલ રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તાજેતરમાં સંવેદનાસભર અભિગમ દાખવીને મૃતક યુવાનોના પરિવારોની મુલાકાત લીધી હતી અને તેમના કુટુંબીજનોને હાર્દિક સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ખેલ રાજ્યમંત્રીને આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ, તેમણે અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ બનવાના આશય સાથે, પંચમહાલ જિલ્લા પ્રશાસનનો સત્વરે સંપર્ક કર્યો હતો. ઘોઘંબા ખાતે મૃતદેહોના પોસ્ટ મોર્ટમ સહિત કાયદાકીય વિધિઓ ઝડપભેર પૂરી થાય અને શબવાહિનીમાં મૃતદેહોનું તેમના ઘર સુધી પરિવહન થાય તે પ્રકારની વ્યવસ્થાઓનું તેમણે જાતે કાળજી લઈને સંકલન કર્યુ હતું. ખેલ રાજ્યમંત્રીએ પ્રત્યેક અસરગ્રસ્ત પરિવારને રૂા. ૫ હજારની અંગત નાણાંકીય મદદ માનવતાની અને સંકટ સમયે મદદરૂપ બનવાની ભાવનાથી કરી હતી. ખેલ રાજ્યમંત્રીના આ સંવેદનાસભર સધિયારાથી અસરગ્રસ્ત પરિવારોએ રાહતની લાગણી અનુભવી હતી.