તાજેતરમાં નિવાસી અધિક કલેકટરશ્રી એમ.જે.દવેના અધ્યક્ષપદે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી. તેમાં રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમના માર્ગદર્શક સિધ્ધાંતોને અનુસરીને જિલ્લાના ત્રણ તાલુકાઓના સાત ગામોની સૂચિત નવીન પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણની મંજૂરી આપવામાં આવી હતી. શ્રી દવેએ જિલ્લાના ગામોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણી પુરવઠા આયોજનો ઝડપભેર સાકાર થાય અને અપેક્ષિત લાભાર્થીઓને પાણી મળતુ થાય તેની પૂરતી કાળજી લેવા અનુરોધ કર્યો હતો. ગામની આંતરીક પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટેની આ નવીન પાણી પુરવઠા યોજનાઓનો સાવલી તાલુકાના ભવાનીપુરા અને ડાભીયાપુરા (મેવલી), વાઘોડિયા તાલુકાના બોડીદ્રા (શંકરપુરા), વ્યંકટપુરા અને હાંસાપુરા-દીપાપુરા તથા ડભોઇ તાલુકાના સુરતીપુરા અને માનપુરાને લાભ મળશે. આ યોજનાઓ પાછળ અંદાજે રૂા.૪૩.૯૬ લાખથી વધુ રકમનો ખર્ચ થશે જેમાં સંબંધિત ગામોના લોકો રૂા. ૪.૩૯ લાખથી વધુ રકમનું યોગદાન લોકફાળાના રૂપમાં આપશે.