Aapnu Gujarat
બ્લોગ

કોંગ્રેસનું કમઠાણ ઉકેલાયું નથી

બે મહિને કોંગ્રેસ કારોબારીની બેઠક મળી ત્યારે એમ લાગતું હતું કે કંઈક ઉકેલ આવશે. કોંગ્રેસ મુકુલ વાસનિકને નવા પ્રમુખ જાહેર કરશે. કમસેકમ કોઈને કાર્યકારી પ્રમુખ બનાવાશે અને પૂર્ણ સમયના પ્રમુખ માટે આગળની કાર્યવાહી થશે એવું મનાતું હતું. આ બધી જ ધારણાઓ ખોટી પડી. કશીક હલચલ થઈ રહી છે તેવું લાગતું હતું તેમાંથી પણ કંઈ નીપજ્યું નહિ. સવારે કારોબારીની બેઠક મળી અને પાંચ સમિતિઓ બનાવવાનું નક્કી થયું. પાંચ સમિતિઓ બને, પાંચેય અલગ અલગ રીતે નવા પ્રમુખ વિશે વિચારે, પ્રાદેશિક નેતાઓનો અભિપ્રાય લેવામાં આવે અને પછી પ્રમુખ નક્કી કરવામાં આવે તેવું નક્કી થયું હતું. રાત્રે ફરીથી કારોબારીની બેઠક મળી, પણ પરિણામ શૂન્ય આવ્યું.સવારની બેઠક શરૂ થઈ ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધીએ મક્કતાથી કહ્યું કે પોતાનું રાજીનામું આખરી છે એટલે બિનગાંધીને પ્રમુખ બનાવો. તેઓ અને સોનિયા ગાંધી બેઠકમાંથી વિદાય થયા, જેથી તેમના પ્રભાવ વિના કારોબારી સમિતિના વરિષ્ઠ સભ્યો નવા નેતાની પસંદગી કરી શકે. પ્રિયંકા ગાંધી જોકે બેઠકમાં હાજર રહ્યા હતા, પણ બિનગાંધીન પ્રમુખનો આગ્રહ છે એટલે તેમને પ્રમુખ નહિ બનાવાય તેમ નક્કિ હતું.પ્રભાવ ના રહે, કાર્યવાહી નિષ્પક્ષ થાય, કોઈ વફાદાર નેતાની બિનજરૂરી તરફેણ ના થઈ જાય તે માટે રાહુલ અને સોનિયા ગાંધીએ કાર્યવાહીમાં ભાગ ના લીધો, પણ પ્રભાવ યથાવત રહ્યો. મોડી રાત્રે લાંબી ચર્ચા પછી સમિતિએ નવાઈ ના લાગે, આમ લાગે, પણ આમ ના લાગે, તેઓ નિર્ણય લીધો. ફરી એકવાર પ્રમુખપદ સોનિયા ગાંધીને સોંપવામાં આવ્યું છે.નરસિંહરાવ વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ અવારનવાર સોનિયા ગાંધીને મળવા જતા હતા. તે મુલાકાતો ધીમે ધીમે ઓછી થતી ગઈ હતી. સોનિયા ગાંધીને જાહેરજીવનમાં રસ નથી તેમ લાગતું હતું. કોંગ્રેસ હવે ગાંધી પરિવાર વિના આગળ વધશે તેમ લાગતું હતું. જોકે નરસિંહરાવની ઉંમર પણ ઢળતી ઉંમર હતી. તેમની સરકાર ડગુંમગું ચાલી રહી હતી. ચૂંટણી પછી ફરીથી સત્તા મળે તેવી શક્યતા દેખાતી નહોતી. સરકારની રચના પહેલાં જ નરસિંહરાવ નિવૃત્ત થઈને આંધ્ર પ્રદેશ જતા રહેવાના હતા. તેના બદલે પાંચ વર્ષ તેમણે ખેંચી કાઢ્યા. હવે કોંગ્રેસ અને સરકારમાં તેઓ ક્યાંય નહોતા ત્યારે સીતારામ કેસરી, બીજા એવી જ ઢળતી ઉંમરના નેતાને પ્રમુખ બનાવાયા હતા. બહુ ડ્રામેટિક દૃશ્યો સર્જાતા રહ્યા હતા અને સીતારામ કેસરી પાસેથી પરાણે પ્રમુખપદનું રાજીનામું લઈ લેવાયું હતું. તેમની જગ્યાએ સોનિયા ગાંધીને પ્રમુખ બનાવાયા અને તેમણે બે દાયકા સુધી કોંગ્રેસ કમાન સંભાળી હતી.આ વખતે કોઈ પાસેથી પ્રમુખપદ આંચકી લેવાની જરૂર નહોતી, કેમ કે કોઈ પદ ઝાલવા જ તૈયાર નથી. ભૂતકાળમાં રાજદરબારમાં બીડૂ ફરતું કે કોની છે હિંમત અત્યારે કોંગ્રેસ દરબારમાં બીડૂ ફરી રહ્યું છે કોની છે હિંમત કોંગ્રેસના પ્રમુખ બનવાની? કોઈ કામચલાઉ કે વચગાળાના પ્રમુખ પણ બનવા તૈયાર નથી તે દેશના સૌથી જૂના પક્ષની વિડંબણા છે. ૧૩૪ વર્ષના પક્ષના નેતા તરીકે ફરી એકવાર ૭૨ વર્ષના સોનિયા ગાંધીને જ જવાબદારી પરત સોંપાઈ છે. કોંગ્રેસની વર્તમાન સમસ્યાનો ઉકેલ પ્રમુખ કોણ બને છે તે નક્કી કરવાથી આવવાનો નથી. કોંગ્રેસના વધુ એકવાર ટુકડા થાય અને આ વખતે ફોર એ ચેન્જ ગાંધી વફાદારોનું જૂથ નાનકડું હોય અને બીજું જૂથ મોટું હોય તો જ વાત આગળ વધવાની શક્યતા રહે છે. રાહુલ ગાંધી પાસેથી પ્રમુખપદ લીધા પછી હવે પ્રિયંકા ગાંધીને આપી દેવાનું પણ સહેલું નથી. વિપક્ષની વંશવાદની ટીકા ઉલટાની તીવ્ર બનશે. રાહુલની જેમ પ્રિયંકાએ પણ એક દાયકો પોતાને સાબિત કરવા માટે જોઈએ. ત્યાં સુધીમાં કોંગ્રેસની હાલત ન રાષ્ટ્રીય પક્ષ, ન પ્રાદેશિક પક્ષ એવી થઈ શકે તેમ છે. ત્રણ રાજ્યોમાં સત્તા મળી હતી, પણ તે ક્યારે જતી રહેશે તે નક્કી નથી. ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ જેવા રાજ્યોમાં સદાય વિપક્ષ જેવી સ્થિતિ દૂર થાય તેમ પણ લાગતું નથી.આ સંજોગોમાં આગળ શું તે સમજવું મુશ્કેલ છે. આજની કટોકટી આવતીકાલ પર ટાળવામાં આવી છે. સોનિયા ગાંધીને ફરીથી પ્રમુખ બનાવીને થોડા વખત માટે કોંગ્રેસ ફરીથી રાબેતા મુજબ કામ કરી શકશે. ભૂતકાળમાં સોનિયા ગાંધી સલાહકારોથી અને સિનિયર નેતાઓથી પક્ષ ચલાવતા હતા. રાહુલ ગાંધીને બે વર્ષ પહેલાં પ્રમુખ બનાવાયા, તે પછી તેમણે પોતાની ટીમ બનાવવાની હતી. તેમના આગવા સલાહકારો અને સિનિયર નેતાઓની સાથે જૂનિયર નેતાઓને જોડવાના હતા. એ પ્રક્રિયા ચાલી પણ હતી, પણ તેમાં ક્યાંક મોટી ખામી રહી ગઈ. સલાહકારો એવા મળ્યા કે પરિણામ ઊંધે માથે આવ્યું. સિનિયર નેતાઓ સાથે જૂનિયર નેતાઓની જોડી બરાબર બની શકિ નહિ. બંનેને એમ લાગ્યું કે તેમનું મહત્ત્વ નથી. સિનિયર્સને લાગ્યું કે હવે તેમની અવગણના થઈ રહી છે, જ્યારે યુવાન નેતાઓને લાગ્યું કે અસલી સત્તા હજીય જૂના જોગીઓ પાસે છે. સોનિયા ગાંધી પ્રમુખ હોય, પક્ષ સંભાળે, નેતાઓને સંભાળે, જૂથોને સંભાળે અને સલાહકારોને સાંભળે; રાહુલ ઉપાધ્યક્ષ તરીકે જાહેર મંચમાં દેખાતા રહે, નીતિઓનો અમલ કરે, પ્રચાર કરે – એ વ્યવસ્થા દસેક વર્ષ બરાબર ચાલી હતી.ફરી એ જ વ્યવસ્થા ચાલવાની છે તેમ લાગે છે. ફરક એટલો હશે કે રાહુલ ગાંધીની નિષ્ક્રિયતા વધશે. સંસદમાં પણ તેઓ બોલવા ઊભા થતા નથી. રાજ્યોની ચૂંટણીમાં તેઓ કેટલી સભાઓ કરે છે તે જોવાનું રહ્યું. તેની સામે પ્રિયંકા ગાંધી મહામંત્રી તરીકે માતા સાથે વધારે નીકટતાથી કામ કરે છે કે કેમ તે પણ જોવાનું રહે છે. આગામી ચૂંટણીઓમાં પ્રિયંકા ગાંધી વધારે સક્રિય થઈને પ્રચાર કરે છે કે રાહુલ કરે છે તેના પર પણ નજર રહેશે. નવા પ્રમુખની શોધ, કોઈની નિમણૂક અથવા ચૂંટણી, થોડા વખત માટે કામચલાઉ પ્રમુખ, કાર્યકારી પ્રમુખની ફોર્મ્યુલા પણ લાગે છે કે હાલ પૂરતી અટકશે. સોનિયા ગાંધીએ ફરીથી પ્રમુખ બનવાની હા પણ નથી પાડી, પણ ના પણ નથી પાડી. સંસદનું સત્ર સમાપ્ત થઈ ગયું છે અને હવે ત્રણેક મહિનામાં ત્રણ રાજ્યોની ચૂંટણી આવવાની છે. તે દરમિયાન કોઈ મોટી રાજકીય ગતિવિધિ જણાતી નથી.તેનો એક અર્થ એ થાય છે કે ત્રણ રાજ્યોની ચૂંટણી સુધી વાતને ટાળી દેવામાં આવી છે. આ રાજ્યોમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં એનસીપી સાથે ચૂંટણી સમજુતિ અને કોંગ્રેસ પ્રચારનો એ બે મુખ્ય મુદ્દાઓ છે. ચૂંટણી સમજૂતિ, ટિકિટોની વહેંચણી જૂની પદ્ધતિ પ્રમાણે સોનિયા ગાંધી સલાહકારો અને સિનિયર નેતાઓને વચ્ચે રાખીને કરી શકશે, પણ ૭૨ વર્ષની ઉંમરે તેઓ સભાઓ ગજાવી શકવાના નથી. રાહુલ ગાંધીની સભામાં કોઈ જોશ હશે કે કેમ તે પણ નક્કી નથી. પ્રિયંકા ગાંધીને મોકલાશે ખરા? રાહુલની જગ્યાએ વધારે પ્રચાર પ્રિયંકા કરશે? કે પછી અચાનક કોઈને પ્રમુખ તરીકે નિમવામાં પણ આવે અને ત્રણેય રાજ્યોની ચૂંટણીમાં ત્રણેય ગાંધી અળગા પણ રહે? સવાલો છે, પણ રાબેતા મુજબ જવાબો નથી.જનરેશન ટુ જનરેશન એટલે કે પેઢી દર પેઢીની વાતને ભારતીય રાજનીતિની રીતે ચકાસવા બેસીએ તો વરસોના વરસ લાગે. કારણ કે, આ બાબતે અગણિત નેતાઓના પરિવારોએ વિવિધ તબક્કે અને સ્તરે પોતાનું પ્રદાન કર્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જો દેશની રાજનીતિમાં પહેલેથી જ કેન્દ્રસ્થાને રહીને લગભગ હંમેશાં સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હોય તો એવો એક જ પરિવાર છે નહેરુ-ગાંધી પરિવાર. સતત પાંચ પેઢી એટલે કે, ૧૨પ કરતાં વધુ વરસોથી ભારતીય રાજનીતિમાં એ મજબૂત પકડ ધરાવે છે.છેક આઝાદીકાળ પહેલાંથી જોવા જઇએ તો જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વ ધરાવતો હતો. ઇ.સ. ૧૮૮પમાં સ્થપાયેલ કોંગ્રેસના મૂળ પક્ષમાં મોટા ભાગે ત્યારે સર્વોચ્ચ સ્થાને ભારતહિતેચ્છુ અંગ્રેજો અને બંગાળીઓ હતા. પરંતુ થોડાં જ સમયમાં એ પક્ષની બાગડોરમાં બદલાવ આવ્યો. અહીં કોંગ્રેસનો ઇતિહાસ લખવાનો આશય નથી એટલે એના ઇતિહાસમાં પડ્યા વગર આપણા મુખ્ય વિષય એવા નહેરુ ગાંધી પરિવારના રાજકીય ઇતિહાસના કેટલાંક તથ્યો તરફ જઇએ.મહાત્મા ગાંધી ૧૯૧પમાં ભારત પરત આવ્યા ત્યારે કોંગ્રેસમાં બાલ, લાલ અને પાલની ત્રિપુટીનું અદકેરું મહત્ત્વ હતું. નહેરુ-ગાંધી કુટુંબના સર્વ પ્રથમ રાજપુરુષ એવા મોતીલાલ નહેરુ (૧૮૬૧-૧૯૩૧) એ વખતે કોંગ્રેસમાં વગદાર નેતા ગણાતા. એમની સક્રિયતાને કારણે જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ (૧૮૮૯-૧૯૬૪) પણ કોંગ્રેસમાં પ્રવેશ્યા ત્યારે એમને માટે એ પ્રવેશ એક કાર્યકર કરતાં એક નેતા તરીકેનો વધુ રહ્યો. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે તત્કાલીન સમયગાળાના નેતાઓમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલને બાદ કરતાં લગભગ દરેક નેતાના કુટુંબીજનોએ આઝાદી પછીથી રાજનીતિને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને એટલું જ નહીં, પોતાના જે તે સ્થાનિક કે રાષ્ટ્રીય વિસ્તારમાં યેનકેન પ્રકારેણ આધિપત્ય જાળવી પણ રાખ્યું છે. આખી યાદી કરવા જઇએ તો એક સ્વતંત્ર પુસ્તક કરવું પડે એટલી મોટી યાદી બને એમ છે. પણ જે બે નેતાઓને આપણે અપવાદ ગણ્યા એમના કુટુંબીઓએ આ ક્ષેત્રમાં આવવાનું લગભગ ટાળ્યું છે. જોકે, ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીના દીકરાઓમાંથી જેમના વૈવાહિક સંબંધ એ સમયગાળાના અન્ય રાજનેતાઓના કુટુંબ સાથે થયા એમની પરંપરામાં પછી વારસાગત રાજનીતિમાં પ્રવેશ ચાલુ રહ્યો હતો.પિતા મોતીલાલ નહેરુના પગલે પગલે કોંગ્રેસમાં પ્રવેશેલા જવાહરલાલનો મહાત્મા ગાંધી સાથે ગાઢ સંબંધ રચાયો અને એ ત્યાં સુધી કે એમને બાપુના રાજકીય વારસદાર તરીકે સ્વીકારવામાં આવ્યા. પરિણામે એમને સ્વતંત્ર ભારતના સર્વ પ્રથમ વડાપ્રધાન બનવાનું સહજ સુલભ બન્યું. એનો મતલભ એ નહોતો કે જવાહરલાલ નહેરુમાં કોઇ એવી રાજકીય ક્ષમતા નહોતી કે પછી એ માત્ર પિતાની ઓળખાણ અને ગાંધીજી સાથેના સંબંધોને લીધે જ સર્વોચ્ચ પદે પહોંચી ગયા હતા. પરંતુ વરસોથી રાજનીતિમાં સક્રિય રહેલા મોતીલાલ નહેરુને એ ખ્યાલ આવી ગયો હતો કે લોકમાન્ય ટિળક પછીનો જમાનો મહાત્મા ગાંધીનો હશે. એટલે એમની સામે એક રીતે રાષ્ટ્રવાદી એવા મોહમ્મદ અલી જિન્નાહ અને સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાક નેતાઓ હતા છતાં મોતીલાલે જે રાજકીય ગણિત માંડયું એ સાચું પડયું અને એમણે ગણેલા દાખલાનો જવાબ હજુય આપણે જોઇ રહ્યા છીએ. મોતીલાલ નહેરુએ પોતાની કુશાગ્રબુદ્ધિ અને રાજકીય ગણતરીઓના આધારે જવાહરલાલ માટેનો માર્ગ પ્રમાણમાં ઘણો ચોખ્ખોચણાક કરી મૂક્યો હતો.જવાહરલાલ પહેલાં એમના પિતાજી મોતીલાલ નહેરુ, પછી જવાહરલાલ પોતે, એમના બહેન વિજયાલક્ષ્મી પંડિત, જવાહલાલ સાથે એમની દીકરી ઇન્દિરા, જમાઇ ફિરોજ, દોહિત્રો સંજય, રાજીવ એમની પત્નીઓ ક્રમશઃ મેનકા, સોનિયા અને હવે એમનાય સંતાનો પ્રિયંકા, રાહુલ અને વરુણ રાજનીતિમાં કેન્દ્રસ્થાને પોતપોતાની ભૂમિકા ભજવી ચૂકયા છે અને ભજવી રહ્યા છે. પાંચ પેઢી એટલે કે એક પેઢીના સરેરાશ રપ વર્ષ ગણીએ તો પણ લગભગ ૧૨પ વર્ષથી ચાલતી આ કુટુંબની રાજકીય પરંપરા નિર્વિઘ્ને નિરંતર ચાલી રહી છે. મૂળ રાજકીય પુરુષ મોતીલાલ હોવા છતાં જવાહરલાલની રાજકીય કારકિર્દી ઘણી લાંબી રહી. ભારત વર્ષના સર્વપ્રથમ વડાપ્રધાન ૧પ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બન્યા પછી છેક ર૭ મે, ૧૯૬૪ના રોજ એમનું કુદરતી અવસાન થયું ત્યાં સુધી જીવનપર્યંત તેઓ આ પદને શોભાવતા રહ્યા. જવાહરલાલને એમના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન જ દેશના સર્વોચ્ચ ભારતરત્નનું સન્માન પણ મળ્યું હતું.જવાહરલાલ પછી એમની દીકરી ઈન્દિરા નહેરુ-ગાંધી (૧૯૧૭-૧૯૮૪) પણ દેશનાં વડાંપ્રધાન બન્યાં. ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ એમના જ અંગરક્ષકો દ્વારા એમની કરપીણ હત્યા કરવામાં આવી.૧૯૮૪માં ઇન્દિરાની હત્યા પછી આવેલી લહેરમાં રાજીવ ગાંધી બહુમતીથી વડાપ્રધાનપદે ચૂંટાઇ આવ્યા. મૂળે રાજનીતિનો જીવ નહોતો છતાં પોતાના નાના ભાઇ સંજય ગાંધીના ૧૯૮૦માં વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનને લીધે ઇન્દિરાના રાજકીય વારસદારનું જે સ્થાન એકદમ ખાલી પડ્યું તે ભરવા હેતુથી રાજીવનું રાજકારણમાં પ્રવેશવાનું થયું. ૧૯૯૮થી કોંગ્રેસ અધ્યક્ષા તરીકે કાર્યરત સોનિયા ગાંધીએ ઇન્દિરાની જેમ જ પુનરાગમન કર્યું અને મનમોહનસિંહના વડાપ્રધાનપદ હેઠળ સરકાર બનાવી. એમના દીકરા રાહુલ કોંગ્રેસના મહાસચિવ તરીકે અતિ સક્રિય છે. દીકરી પ્રિયંકા પણ ચૂંટણી પ્રચાર ટાણે પરિવારને પડખે ઊભી હોય છે. ઇન્દિરાના નાના દીકરા સંજય ગાંધીની પત્ની મેનકા પણ સાંસદ છે પણ ભાજપાની, એમનો દીકરો વરુણ પણ ભાજપાનો
સાંસદ છે.સરવાળે જોવા જઇએ તો મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી સુધીની કોંગ્રેસ સાથેની અને મેનકા-વરુણ સુધીની ભાજપા સાથેની નહેરુ-ગાંધી પરિવારની રાજકીય યાત્રા ઘણી રોમાંચક અને રહસ્યમય છે. કોંગ્રેસની સ્થાપના થઇ ૧૮૮પમાં. આજે ર૦૧૭માં એ ૧૩૨ વર્ષની થઇ. આ ૧૩૨ વરસોમાં એના અધ્યક્ષપદને શોભાવનારા એક જ કુટુંબની વાત કરવી હોય તો એ છે મોતીલાલ નહેરુનું કુટુંબ. મોતીલાલ નહેરુ પોતે ૧૯૧૯ અને ૧૯ર૮માં કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. ૧૯ર૮માં મોતીલાલ નહેરુ પછી તરત જ બીજા વર્ષો ૧૯ર૯-૩૦માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જવાહરલાલ રહ્યા હતા. એ પછી ૧૯૩૬-૩૭ અને ૧૯પ૧-પર-૫૩-૫૪માં જવાહરલાલ કોંગ્રેસના અધ્યક્ષપદે રહ્યા હતા. એમની હયાતીમાં એમણે એમની દીકરી ઇન્દિરાને પણ ૧૯પ૯માં કોંગ્રેસ અધ્યક્ષા બનાવી હતી. જે ત્યાર પછી ૧૯૭૮-૮૪ સુધી એ પદે રહ્યાં હતાં. ઇન્દિરાના આકસ્મિક અવસાન પછી એમના મોટા દીકરા રાજીવ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા, જે આ પદ ઉપર ૧૯૮પ-૯૧ સુધી રહ્યા. ૧૯૯૮માં કોંગ્રેસના અધ્યક્ષાપદે આવેલા સોનિયા ગાંધી આજપર્યંત એ પદે કાર્યરત છે. આમ ૧૩૨ વર્ષના કોંગ્રેસના ઇતિહાસ સાથે છેલ્લાં ૯૮ વર્ષથી એટલે કે નવ દાયકાથી એક યા બીજી રીતે સંકળાયેલા રહેલા નહેરુ-ગાંધી કુટુંબ પાસે ૪૫ વર્ષ (મોતીલાલના બે વર્ષ, જવાહરલાલના ૮, ઇન્દિરાના ૮, રાજીવના ૭ અને સોનિયા ગાંધીના ર૦) તો અધ્યક્ષપદ રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે જવાહરલાલ, ઇન્દિરા અને રાજીવ ત્રણેય કોંગ્રેસના મરણપર્યંત અધ્યક્ષ રહ્યા છે. જો કે, ૮ વર્ષ કોંગ્રેસ અધ્યક્ષ રહેલા જવાહરલાલ કરતાં આજે સોનિયા ગાંધી ર૦ વર્ષ સતત અધ્યક્ષા બની રહ્યાંનો એક નવો વિક્રમ રચી ચૂક્યાં છે.

Related posts

એનઆરસી વિવાદ : મમતાનું ઘૂસણખોરો પ્રત્યે બેવડું વલણ કેમ…!!?

aapnugujarat

ઇમરાન ખાન કોરોના સામે લડવામાં નિષ્ફળ

editor

अयोध्या केस का पूरा घटना क्रम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1