Aapnu Gujarat
ગુજરાત

કેવડિયા ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ નર્મદા જળના કર્યા વધામણાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયા ખાતે જીવનદાયક નર્મદા જળના વધામણાં કર્યા હતા. ડેમ ટોપની વ્યૂઇંગ ગેલેરી ખાતે નર્મદા પૂજન કર્યુ અને શ્રીફળ, ચૂંદડી અને પુષ્પોથી જીવનદાયક નર્મદા જળને વધાવ્યું હતુ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં સારા વરસાદથી દુષ્કાળના ઓળા દૂર થયા છે. ગુજરાતે નર્મદા બંધ ભરીને નેવાના પાણી મોભે પહોંચાડવાનું અદ્દભૂત કામ કર્યુ છે. નર્મદા બંધના જળાશયમાં ૧૩૧.૫ મીટરની ઉંચાઇ સુધી પાણી ભરીને ગુજરાતે પોતાની ટેકનિકલ ક્ષમતા પૂરવાર કરી છે જેનો મને ગર્વ છે.
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં કહ્યુ કે, ઇશ્વરની કૃપાથી વરસાદ ખૂબ સારો છે, ત્યારે નર્મદા બંધને મંજૂરી મેળવીને તબક્કાવાર ૧૩૮ મીટરની પૂર્ણ ઉંચાઇ સુધી ભરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ઉપરાંત નર્મદાના પૂરના પાણીથી સૌની યોજના, સૌરાષ્ટ્રના ખાલી બંધો, સુજલામ સુફલામની કેનાલો, મહી, સાબરમતી સહિત નદીઓ, ઉત્તર ગુજરાતના બંધોમાં પણ પાણી ભરવામાં આવશે. રાજય સરકારના આ નિર્ણયથી પ્રજાજનોને પાણીના પ્રશ્ને નિરાંત અને રાહત અનુભવાશે તેવી મને આશા છે. જીવનદાયક નર્મદાના જળ થકી રાજયમાં પાણીની સમસ્યાનું નિવારણ થશે.
નર્મદાના જળથી રાજયભરમાં પીવાના પાણી, ખેતી સહિત તમામ ક્ષેત્રોને લાભ મળશે આ સાથે રાજયના વિકાસને વેગ મળશે. પ્રધાનમંત્રીશ્રીએ ડેમના દરવાજાની અને ડેમ ભરવાની મંજૂરી આપી એ પછી પ્રથમવાર બંધની સપાટી ૧૩૧.૫ મીટર્સ થઈ છે જે સમગ્ર ગુજરાત માટે આનંદનો પ્રસંગ બની રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી જીવનદોરી નર્મદાનું પાણી મળશે.
કેનાલ નેટવર્કમાં મહત્તમ પાણી નર્મદાના જળનું છોડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા ગઇરાત્રે ખોલવામાં આવ્યા છે. નર્મદા કાંઠાના ગામો આવેલા છે એ તમામ જિલ્લાના તંત્રોને આગોતરા સતર્ક કરવામાં આવ્યા છે. જરૂર જણાઈ ત્યાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તકેદારીના જરૂરી પગલાંઓ પણ લેવામાં આવ્યા છે.
રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ધાર્મિક વિધિવિધાન પ્રમાણે મા નર્મદાના વધામણાં કરી જળ પૂજન કર્યું હતુ. નમામિ દેવી નર્મદેનો આનંદ ઉત્સવ સર્વત્ર વર્તાઈ રહ્યાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.
કેવડીયા ખાતે નર્મદા મૈયાના વધામણા પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગઈ રાતથી ૧,૨૦૦ મેગાવોટ જળવીજળીનું ઉત્પાદન શરૂ થયું છે. તેમણે નર્મદા જળથી પાવન થતી ગુજરાત રાજય ભૂમિ માટે આનંદ અનુભવતા કહ્યું કે, નર્મદા મુખ્ય કેનાલમાં ૧૪,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહી નદીમાં ૧,૪૦૦ ક્યુસેક, સાબરમતી નદીમાં ૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના બંધો અને નદીઓને પાણી મળશે.
નાયબ મુખ્યમંત્રી પટેલે વધુમાં કહ્યું કે, નર્મદા યોજના પાછળ રૂ.૬૦,૦૦૦ કરોડનો ખર્ચ થયો છે, હવે એના સારા પરિણામો માત્ર ગુજરાતને જ નહીં પરંતુ તમામ સહભાગી રાજયોને પણ થશે. નર્મદા યોજના થકી મધ્યપ્રદેશને વીજળી અને ગુજરાતની સાથોસાથ રાજસ્થાનને નર્મદાનું અમૃત જળ મળશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુજરાત સહિત સહભાગી રાજયોને નર્મદા યોજનાના જે વ્યાપક લાભો મળતા થયા એમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ચાવી રૂપ ભૂમિકા છે. એમણે દરવાજા મૂકવાની અને ડેમમાં પાણી ભરવાની મંજૂરી આપી તેમજ નર્મદા ડેમમાં પાણી ભરવાનો પ્રારંભ પણ એમના હસ્તે કરવામાં આવ્યો હતો.
ગુજરાતની જનતા દાયકાઓથી નર્મદા બંધ ભરાય એ ઘડીની રાહ જોતી હતી. એનસીએની જરૂરી મંજૂરી મેળવીને બંધ ૧૩૮ મીટર્સ સુધી ભરવાનો પ્રયત્ન રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. અત્યારે જળાશયમાં બંધના કેચમેન્ટમાં થયેલા સારા વરસાદનું પાણી આવી રહ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર બંધમાંથી હજુ પાણી છોડાયું નથી.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ નર્મદા નિગમના અધ્યક્ષ કે.કૈલાશનાથન, એમડી ડો.રાજીવકુમાર ગુપ્તા અને સમગ્ર ટીમ નર્મદાને અભિનંદન આપ્યા હતા. તેમણે ગુજરાતની જનતાને આ આનંદ ઉત્સવના પ્રસંગના વધામણાં પાઠવ્યા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ડેમ ટોપ પર નિયંત્રણ કક્ષમાં દરવાજા ખોલવા અને પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતુ. ડેમ ટોપની નિરીક્ષણ દીર્ઘા ખાતે વરસતા વરસાદમાં સરદાર સરોવરમાં લહેરાતા મા નર્મદાના જીવનદાયક અગાધ જળને શ્રીફળ, ચૂંદડીથી પુરોહિતોના પવિત્ર મંત્રોચ્ચારો વચ્ચે વધાવ્યા હતા.
આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમીનીસ્ટ્રેટર આઇ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નર્મદા નિગમના ટેકનીકલ ડિરેક્ટર નાદપરા, વડોદરા રેન્જના ડી.આઇ.જી. અભય ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, મુખ્ય ઇજનેરશ્રી પી.સી. વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

વાર્ષિક પ૦ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ કચ્છમાં શરૂ થશે

aapnugujarat

રાજ્યમાં કાળઝાળ ગરમી, ૬ શહેરોમાં પારો ૪૨ ડિગ્રીને પાર

editor

रेरा के तहत रजिस्ट्रेशन की अवधि बढ़ने की संभावना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1