સુરતનાં બારડોલી રોડ પર આવેલી શ્રી ભારતી મેમોરિયલ ફાઉન્ડેશન સંચાલિત ભરત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને નિરાલી મેમોરિયલ રેડિયેશન ખાતે મંગળાબેન વિસપુટ નામનાં દર્દીને કેન્સરની ગંભીર બિમારી હોવાથી સારવાર લેવાની હતી. દર્દીએ સારવારની ચુકવણી વખતે સંસ્થાને મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ હોવાનું કહેતાં સંસ્થાએ તેનો ધરાર અસ્વીકાર કર્યો હતો. આ અંગે દર્દીનાં પરિવારજનોએ ટિ્વટર દ્વારા રાજ્યનાં આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ટિ્વટર પર જોતાં તુરંત જ આરોગ્ય મંત્રી ચૌધરીએ તેમને જવાબ આપ્યો હતો.
પૈસાનાં અભાવે રાજ્યનો એકપણ માણસ સારવારથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા અને મધ્યમવર્ગનાં લોકો પ્રાઈવેટ હોસ્પિટલો તેમજ સરકારી દવાખાનાઓમાં ગંભીર બિમારીની સારવાર મેળવી શકે છે.
અત્યાર સુધી આ યોજના માત્ર સરકારી હોસ્પિટલોમાં લાગુ હતી પરંતુ હવે સરકારે આ યોજના હેઠળ પ્રાઈવેટ તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં પણ લાગુ કરી છે. સુરતનાં આ કિસ્સામાં સંસ્થા દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આવરેલી હોવા છતાં દર્દીને તેનાં લાભથી વંચિત રાખવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
દર્દી એવા મંગળાબેનનાં પરિવારજનો પૈકીનાં દિપાલી વિસપુટે આ અંગેની ફરિયાદ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીને કરતાં તેઓએ દર્દીનો કોન્ટેક્ટ નંબર મંગાવી તરત જ દર્દીની મુશ્કેલીઓ દૂર કરવા સંલગ્ન અધિકારીઓને સૂચના આપી હતી અને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી આપી હતી.