તમારે હવે સિંહ જોવા માટે છેક ગીર સુધી લાંબુ નહીં થવું પડે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ હવે સિંહ દર્શન કરી શકાશે! બે ત્રણ દિવસમાં જ જૂનાગઢથી સિંહોને ગાંધીનગર ખાતે લાવવામાં આવશે.
હકીકતમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગાંધીનગર ખાતે આવેલા ઇન્દ્રોડા પાર્કમાં સિંહોને રાખવાની મંજૂરી મળી આપી દીધી છે. મંજૂરી બાદ હવે બે-ત્રણ દિવસમાં સિંહની એક જોડીને જૂનાગઢના સક્કરબાગ ખાતેથી ગાંધીનગરમાં લાવવમાં આવશે.
સક્કરબાગ ઝૂમાંથી લાવવામાં આવનાર બંને સિંહોને ૨૧ દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ દરમિયાન તબીબો અને વન વિભાગના અધિકારીઓ બંને સિંહોની ગતિવિધિથી લઈને તમામ બાબતો અંગે નિરીક્ષણ કરશે. જે બાદમાં લોકો સિંહના દર્શન કરી શકશે. એટલે કે બધુ બરાબર રહ્યું તો મહિના પછી ગાંધીગરમાં પણ સિંહ દર્શન કરી શકાશે.
૧૬મી ઓક્ટોબરથી ગીરના જંગલમાં રહેતા સિંહોનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે. આ વર્ષે પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને સરકારે પરમિટમાં પણ વધારો કર્યો છે. બીજી તરફ તાજેતરમાં જ દલખાણીયા રેન્જમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ તેમજ અન્ય કારણોને લીધે ૨૩ સિંહોનાં મોત થયા હોવા છતાં સરકાર લોકોને સિંહ દર્શન કરાવવા માટે ઉતાવળી બની હોવાથી સિંહ પ્રેમીઓ નારાજ થયા છે.
આગળની પોસ્ટ