ભાજપા મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં ‘‘વાયુ’’ વાવાઝોડાની આગાહીના પગલે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રની સાથે ભાજપાના અગ્રણીઓ-કાર્યકરો પણ રાહત કામગીરીના આયોજન તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા પણ આગમચેતી રૂપે સરાહનીય કામગીરી થઇ રહી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી છેલ્લા ૪૮ કલાકથી ‘‘વાયુ’’ વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી સંબંધિત વિભાગોની બચાવ કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપાની પ્રદેશ બેઠકો રદ કરી હતી તેમજ દિલ્હી ખાતેની ભાજપાની રાષ્ટ્રીય બેઠકમાં જવાનું પણ કેન્સલ રાખી ગુજરાતના દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાના ભાજપા કાર્યકરો અને અગ્રણીઓને બચાવ કામગીરી અને ત્યાંના સ્થાનિક લોકોની સલામતી માટેના સેવાકાર્યમાં સત્વરે જોડાવા હાકલ કરી હતી. ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે વાવાઝોડા અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે તેમજ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ ભાજપાના કાર્યાલયો ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મહાનગરના ભાજપા કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર વિસ્તાર માટેનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
શ્રી વાઘાણીએ ગઈકાલે રાજકોટ ખાતે ભાજપા કાર્યાલય ખાતે શરૂ કરેલ કંટ્રોલરૂમની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ ઉપસ્થિત તમામ ભાજપા કાર્યકરોને ફૂડ પેકેટ, મેડીકલ સહાય, રાહત કેમ્પ, સ્થળાંતરમાં મદદ વગેરે જેવા રાહત-બચાવ કાર્યો બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ શ્રી વાઘાણી વેરાવળ-સોમનાથ જઇ સોમનાથ મહાદેવના દર્શન કરી ગુજરાત પર આવી રહેલ કુદરતી આફત ‘‘વાયુ’’ વાવાઝોડું જલ્દી શાંત પડી જાય, કોઈપણ પ્રકારની જાનહાનિ અને નુકશાન ન થાય તથા દેશ અને ગુજરાત રાજ્યની સર્વાંગી ઉન્નતિ થાય તે માટે હદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ શ્રી વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મૂલાકાત લઈ તંત્ર વાહકોની સજ્જતા તેમજ સ્થાનિક લોકોને ઊંચાઈવાળા સલામત સ્થળે સ્થળાંતર કરાવવા સહિતની તમામ કામગીરીની સમીક્ષા કરી હતી.