નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના મુખ્ય મથકથી આશરે ૩૦ કિ.મી દૂર ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘઉમર ગામની હાલમાં આશરે ૭૫૦ માણસોની વસ્તી ૬ જેટલાં છૂટાછવાયાં ફળિયાઓમાં પથરાયેલ છે, આ ગામના પાંચ ફળિયાઓની આશરે ૬૦૦ માણસોની વસ્તી માટે ૭ હેન્ડપંપ, ૪ બોર/ મોટર, અને ૧ મીની યોજના હાલમાં કાર્યરત છે અને તેના દ્વારા પીવાના પાણીની સુવિધા મેળવી રહ્યા છે આ ગામના ૬ ફળિયામાં કોલાડી ફળિયામાં ટેકરા ફળિયા અને ખાડી ફળિયા પેટા ફળિયા તરીકે આવેલ છે. ટેકરા ફળિયામા ૧ હેન્ડપંપ આવેલ છે જેમાંથી ટેકરા ફળિયાના લોકો પીવાનું પાણી મેળવી રહ્યા છે, જ્યારે ખાડી ફળિયું નદીની નજીક અંદાજે ૩૦૦ મીટરે આવેલ છે, અને ટેકરા ફળિયું ખાડી ફળિયાથી અંદાજે ૪૦૦ મીટરે આવેલ છે આમ, ખાડી ફળિયું નદીની નજીક હોવાથી ટેકરા ફળિયામાં કાર્યરત હેન્ડપંપની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં ખાડી ફળિયાની અંદાજે ૬૦ થી ૭૦ જેટલી વસ્તી નદી-કોતરમાંથી તેમની સવલત માટે પાણી મેળવી રહ્યા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રી, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, રાજપીપલા તરફથી જણાવાયું છે.
કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા અપાયેલી વધુ જાણકારી મુજબ વાધઉમર ગામના ખાડી ફળિયાના લોકો ટેકરા ફળિયામા હેન્ડપંપની સુવિધા હોવા છતાં નદી-કોતરોમાંથી પાણી મેળવતાં હોવાથી જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે તાજેતરમાં રાજપીપળા મુખ્ય મથકે પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે યોજાયેલી સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં ખાડી ફળિયામાં ટેન્કર ધ્વારા પીવાના પાણીની સુવિધા સત્વરે પુરી પાડવાની સૂચના આપતાં અંદાજે ૬૦ થી ૭૦ જેટલી વ્યકિતઓ માટે તાત્કાલિક યુધ્ધના ધોરણે ટેન્કર દ્વારા દૈનિક ૩ હજાર લીટર પીવાનાં પાણીની ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરતું ખાડી ફળિયાના લોકોએ પીવાના પાણીની હયાત વ્યવસ્થા હોવાથી ટેન્કરની સગવડ લીધેલ નથી અને કાયમી વ્યવસ્થા કરવાનું સુચન કરેલ હોય તે મુજબના ઉકેલ માટે બોર ઉપર મોટર મુકવાની કાર્યવાહી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા શરૂ કરાયેલ હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રીએ વધુમાં ઉમેર્યું છે. ખાડી ફળિયામાં નવા બોર ક્ષારવાની શકયતા તપાસવા સર્વેક્ષણની કામગીરી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ધ્વારા હાથ ધરાઇ હોવાની પણ તેમણે જાણકારી આપી હતી.