Aapnu Gujarat
બ્લોગ

ગાંધી હત્યા અને નથુરામ ગોડસે

હાલમાં જ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા બાદ તે ચર્ચામાં આવી ગયા હતા, ત્યારબાદ તેમણે માફી માંગી હતી. એવામાં સાધ્વી બાદ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડે તેમના ટ્‌વીટર એકાઉન્ટમાંથી નાથુરામ ગોડસે વિશે લખ્યુ હતુકે, નાથુરામ ગોડસે મામલે માફી માંગવાની જરૂર નથી,દેશની જનતાએ ગોડસે તરફનો દ્રષ્ટીકોણ બદલવો જોઈએ.અને આ મામલે ચર્ચા પણ કરવી જોઈએ.જોકે, આ ટ્‌વીટ બાદ અનંત કુમારની બીજી ટ્‌વીટ સામે આવી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતોકે, તેમનું એકાઉન્ટ હૅક થઈ ગયુ હતુ અને નાથુરામ ગોડસેનું ટ્‌વીટ તેમણે કર્યુ ન હતુ. હકીકતમાં અનંતકુમારે ડિલીટ કરેલાં ટ્‌વીટમાં લખ્યુ હતુકે, તેમને ખુશી છેકે, ૭૦ વર્ષ બાદ બદલાયેલાં વૈચારિક વાતાવરણમાં ગોડસે ઉપર ચર્ચા થઈ રહી છે. દોષીને સાબિત થયેલા માટે સારી વાતો થઈ રહી છે. નાથૂરામ ગોડસેને આખરે આ ચર્ચાઓથી ખુશી થઈ હશે.જોકે, પહેલાં ટ્‌વીટનાં બે કલાક બાદ બીજું ટ્‌વીટ કરાયુ હતુ, જેમાં લખ્યુ હતુકે, મારુ ટ્‌વીટ એકાઉન્ટ ગઈકાલે હૅક થઈ ગયુ હતુ. ગાંધીજીના હત્યારા માટે કોઈ સહાનુભૂતિ ન હોવી જોઈએ. તેમણે જે રાષ્ટ્ર માટે યોગદાન આપ્યુ છે તેનું બધા સન્માન કરે છે.ભાજપના નેતા અનંતકુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞા અને નવીન કટીલે નાથુરામ ગોડસે અંગે આપેલા નિવેદન બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટિ્‌વટ કર્યુ. તેમણે જણાવ્યું કે, ભાજપના ત્રણેય નેતાના નિવેદન સાથે પાર્ટી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.ગોડસે અંગે આપેલુ નિવેદન તેમનું અંગત છે. જે નેતાઓએ નાથુરામ ગોડસે અંગે નિવેદન આપ્યુ છે તેમણે માફી પણ માગી છે. તેમ છતા આ મામલે પાર્ટીની અનુશાસન સમિતિએ નેતાઓ પાસેથી જવાબ માગ્યો છે. અને ૧૦ દિવસમાં પાર્ટીને એક રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે.મહત્વપૂર્ણ છે કે, ગુરૂવારે સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ હતુ કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને હમેશા રહેશે. આ પ્રકારના નિવેદન બાદ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. જે બાદ તેમણે માફી પણ માગી હતી.મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે પર આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે અને રાજકીય નતાઓની તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ સાધ્વી પ્રજ્ઞાને નાથુરામ ગોડસેના નિવેદન મામલે સમર્થન કર્યુ. તેમણે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, નાથુરામ ગોડસે મામલે માફી માગવાની કોઈ જરૂર નથી. દેશની જનતાએ ગોડસે તરફનો દ્રષ્ટીકોણ બદલવો જોઈએ.આ મામલે ચર્ચા પણ કરવી જોઈએ. અનંક કુમારે આ પ્રકારનું ટિ્‌વટ ત્યારે કર્યુ જ્યારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યુ હતુ કે, નાથુરામ ગોડસે દેશ ભક્ત હતા અને હમેશા રહેશે.જોકે આ પ્રકારના નિવેદન બાદ વિવાદ થતા સાધ્વી પ્રજ્ઞાએ માફી પણ માગી હતી. સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ કોંગ્રેસે આ મામલે વિરોધ નોંધાવતા ભાજપે સાધ્વી પ્રજ્ઞાના નિવેદનને અયોગ્ય ગણાવ્યુ હતુ.મહત્વનું છે કે ભાજપના ભોપાલ બેઠક પર લોકસભાના ઉમેદવાર અને બોમ્બ બ્લાસ્ટ કેસમાં જામીન પર છુટેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે વિવાદ જગાવ્યો હતો. તેમણે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડ્‌સેને દેશભક્ત ગણાવીને ભારે વિવાદ જગાવ્યો છે. અગાઉ મુંબઇ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે વિશે પણ અપમાનજનક નિવેદન કરનારા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હવે નાથુરામ ગોડ્‌સેને દેશભક્ત ગણાવીને ફરી વિવાદમાં આવ્યા છે.જોકે જ્યારે સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન બાદ ભારે હોબાળો થતા તેણે માફી માગવી પડી હતી સાથે પોતાનું નિવેદન પરત લઉ છું તેમ કહ્યું હતું. જોકે પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનથી ભાજપે પોતાને દુર કરી લીધી હતી. વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે નાથુરામ ગોડ્‌સે એક દેશભક્ત હતા.તેઓ હતા અને હંમેશા દેશભક્ત જ રહેશે. જે લોકો નાથુરામ ગોડ્‌સેને આતંકવાદી કહેતા હોય તેઓ પોતાની તરફ જુવે, તેમને આ લોકસભાની ચૂંટણીમાં આક્રામક જવાબ આપવામાં આવશે. થોડા દિવસ પહેલા અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને નાથુરામ ગોડ્‌સેને આતંકવાદી ગણાવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ નિવેદન કર્યુ હતું. જોકે જ્યારે આ મામલે ભાજપના નેતા રાકેશસિંહ બાજપાઇને પૂછવામાં આવ્યું કે શું સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદન બદલ માફી માગી છે, તો તેમણે જણાવ્યું હતું કે તેમણે માફી માગીને પોતાનું નિવેદન પરત લઇ લીધુ છે, બીજી તરફ ભાજપે પોતાને સાધ્વીના આ નિવેદનથી દુર કરી લીધી છે.ભાજપના મીડિયા સેલના પ્રભારી લોકેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી હોય તે દેશભક્ત ક્યારેય ન બની શકે. પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનની ટીકા કરતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે આ અતી નિમ્નકક્ષાનું નિવેદન છે. આ પહેલા શહીદ હેમંત કરકરેને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું.ગાંધીજીની હત્યાના વાજબીપણા વિશે અને તેમના હત્યારાઓને મહાન દેશપ્રેમી સાબિત કરવાની દિશામાં વખતોવખત પ્રયાસ થતા રહે છે.એ માટે અર્ધસત્યો અને જૂઠાણાંની ભેળસેળ કુટિલતાથી વહેતી મૂકવામાં આવે છે.લોકોને ગુંચવાડામાં નાખીને હત્યારાઓ પ્રત્યેનો અભાવ ઓછો કરી શકાય-તેમના પ્રત્યે સહાનુભૂતિની લાગણી પેદા કરી શકાય, એવો પ્રચારકોનો આશય હોય છે.આવા પ્રચારમાં ક્યારેક એવું પણ કહેવામાં આવે છે કે હત્યારાઓને તો ગાંધીજીનાં પરિવારજનોએ માફ કરી દીધા હતા.આમ કહેવા પાછળનો ઇશારો એ હોય છે કે હવે તમારે હત્યારાઓની અને એમની વિચારસરણીની ટીકા ન કરવી જોઈએ.ગાંધીજીના ખૂનીઓ અને તેમની વિચારધારા માટે હિંદુ ધર્મનો આદર્શ ગુરુજનોને મારી નાખતો અર્જુન છે. (ધર્મગ્રંથોમાંથી છેવટે તો પોતાની વૃત્તિ પ્રમાણેનો જ બોધ મળે છે.)આ લોકો પાછા પોતાની જાતને હિંદુ ધર્મ અને ધર્મીઓના રક્ષક તરીકે ખપાવે.
બીજી તરફ, પોતાને ગૌરવપૂર્વક હિંદુ ગણાવનારા ગાંધીજી તેમની પર ખૂની હુમલા કરનારને પણ માફી આપતા હતા.દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં તેમનું આવું વલણ જાહેર હતું.હિંદુ ધર્મની તેમની આવી ઉદાર સમજ ભલે તેમની અપેક્ષા જેટલી પ્રસરી નહીં, પરંતુ તે લોકો માને છે એટલી હદે નિષ્ફળ પણ ગઈ ન હતી.તેના ઉત્તમ પુરાવા સૌથી ખરાબ પ્રસંગે મળ્યા. એ પ્રસંગ એટલે ગાંધીજીની હત્યા.
અદાલતી કાર્યવાહી પછી હત્યારા ગોડસે અને કાવતરાના એક સાથી આપ્ટેને ફાંસીની સજા થઈ.ત્યારે દેશવિદેશમાંથી એવા અનેક પત્રો આવ્યા, જેમાં હત્યારાઓને ફાંસીની સજા ન કરવાની વિનંતી હતી.આવી રજૂઆતો કરનારા ગોડસેપ્રેમીઓ નહીં, ગાંધીપ્રેમી-ગાંધીના અનુયાયી હતા.જાણીતાઅજાણ્યા, દેશીવિદેશી એવા ઘણા લોકોએ ત્યારના ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીને વિનંતીપત્રો મોકલ્યા.તેમાં લખ્યું પણ ખરું કે આજીવન અહિંસાના ઉપાસક રહેલા અને ફાંસીની સજા નાબૂદ થવી જોઈએ, એવો મત ધરાવતા ગાંધીજીના હત્યારાઓને ફાંસીની સજા ન આપવી જોઈએ.આ વિનંતીપત્રોમાં ગોડસેમંડળીની ધિક્કારપ્રેરિત સમજણ નહીં, ગાંધીજીએ રોપવા ધારેલી ધર્મની ઉદાર સમજણ દેખાતી હતી.’જીવ આપનાર જ જીવ લઈ શકે’ એવો સીધોસાદો છતાં પાયાનો, કોઈ પણ ધર્મથી ઉપર એવો માનવતાનો સિદ્ધાંત દેખાતો હતો.નારાયણભાઈ દેસાઇએ નોંધ્યું છે કે ગાંધીજીના અસ્થિ-વિસર્જન પછી ’જુગતરામભાઈ (દવે)ની પ્રેરણાથી આસપાસનાં ૨૮ ગામોમાંથી એકઠી થયેલી મેદનીએ ઠરાવ કર્યો કે આઝાદ ભારત દેશમાંથી સજા-એ-મોતની પરંપરા દૂર કરવાનો આરંભ ગાંધીના ખૂનીને ફાંસી ન દઈને થાય.’ (મારું જીવન એ જ મારી વાણી-૪, નારાયણ દેસાઈ, પૃ.૪૮૪)ગાંધીજીના કેટલાક સાથીઓ ગાંધીશાઈ અંદાજમાં પોતાની ’નિષ્ફળતાનો એકરાર’ કરીને કહેતા હતા કે યુવાનોની શક્તિને આપણે સાચા માર્ગે વાળી ન શક્યા.એટલે તે આડા રસ્તે ફંટાઈ ગયા. માં એમને દોષ દઈ શકાય નહીં.ગાંધીહત્યા વિશેની સરકારી ફાઇલમાં સજામાફી માટેના કેટલાક પત્રો સચવાયેલા છે, જેની ગવર્નર-જનરલ ગોપાલાચારી અને ગૃહમંત્રી સરદાર પટેલ વચ્ચે આપ-લે થઈ હોય.સજામાફીની વિનંતીઓમાં સૌથી ઉલ્લેખનીય રજૂઆતો ગાંધીજીના બે પુત્રોની હતી.ગાંધીજીના ભારત આવી ગયા પછી દક્ષિણ આફ્રિકામાં રહીને ત્યાં કામ કરનારા મણિલાલ ગાંધીએ ડરબનથી ગવર્નર જનરલને તાર કર્યો અને ગોડસેની ફાંસી માફ કરવા વિનંતી કરી.પહેલા તારમાં ફક્ત ગોડસેની માફી વિશે લખ્યા પછી તેમને ઝબકારો થયો હશે, એટલે તેમણે નવેમ્બર ૬, ૧૯૪૯ના રોજ બીજો ટેલિગ્રામ કરીને કહ્યું કે અગાઉ તે ફાંસીની સજા પામેલા બીજા ગુનેગાર આપ્ટેનું નામ લખવાનું ભૂલી ગયા હતા અને આપ્ટેની સજામાફી માટે પણ તે વિનંતી કરે છે.આવી વિનંતી કરનાર ગાંધીજીના બીજા પુત્ર એટલે રામદાસ.મોટા હરિલાલ પછી બીજા ક્રમે આવતા રામદાસે રાજઘાટ પર ગાંધીજીના મૃતદેહને અગ્નિ આપ્યો હતો.
તેમની લાગણીનું વર્ણન કરતાં તેમનાં પુત્રી સુમિત્રા કુલકર્ણીએ નોંધ્યું છેઃ(અંતિમ વિધિ પછી) રાત્રે દસ વાગ્યે મારા પિતા ફરીથી રાજઘાટ ગયા અને ઓલવાતી ચિતા પાસે આખી રાત મોટરમાં બેસી રહ્યા કે જેથી કોઈ વ્યાકુળ, શ્રદ્ધાળુ ભક્ત મહાત્માના અવશેષની લાલસામાં ચિતાને રગદોળી ન નાખે…પોષ મહિનાની એ કાળરાત્રિએ એમની સામે એક વેરાન જીવન પથરાયેલું પડ્યું હતું. એમના જીવનને અજવાળતી દીપશિખા વિલીન થઈ ગઈ હતી. (અણમોલ વિરાસત-૩, સુમિત્રા કુલકર્ણી, પૃ. ૧૩૮)તેમ છતાં, ગોડસે સામે ફાંસીનો કેસ ચાલ્યો ત્યારે રામદાસ પટેલે ગૃહમંત્રી સરદારને પત્ર લખ્યો કે ગોડસેને ફાંસીની સજા કરવી, એ બાપુજીની અહિંસાથી ઊલટું થશે અને એમના આત્માને ક્લેશ થશે.
ગોડસેના મૃત્યુથી બાપુ ફરીથી જીવતા થવાના નથી…અમે દુઃખી છીએ, પણ વેર લઈને શું કરવાનું? અને કોની સામે વેર લેવાનું?નાથુરામ તો ફક્ત નિમિત્ત હતો. એટલે વેરની હિંસા જગાડીને આપણે બાપુજીની જીવનભરની સાધનાનો ક્ષય કરવો જોઈએ નહીં.આમ કરવાથી અહિંસાના પૂજારીનું અપમાન થશે. (અણમોલ વિરાસત-૩, પૃ. ૧૩૯)રામદાસે જેલમાં રહેલા ગોડસેને પણ પત્ર લખીને સજામાફીના પોતાના પ્રયાસ વિશે જાણ કરી હતી.જવાબમાં ગોડસેએ તેમને જેલમાં મળવા જણાવ્યું.વિચારધારાના નશાથી મત્ત ગોડસેએ તેમને લખ્યું હતું કે કોને ખબર, તમે મને પસ્તાવો કરવા પ્રેરી શકો કે પછી હું તમને મારા દૃષ્ટિબિંદુ સાથે સંમત કરી દઉં.પરંતુ સરકારે એ મુલાકાત માટે મંજૂરી આપી નહીં. (ધ અસેસિન્સ આસિસ્ટન્ટ, રાધા રાજાધ્યક્ષે લીધેલો નથુરામના ભાઈ ગોપાલ ગોડસેનો ઇન્ટરવ્યૂ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, જાન્યુઆરી ૨૫, ૧૯૯૮, પૃ.૧૮)આ મુલાકાતમાં ગોપાલ ગોડસેને પૂછવામાં આવ્યું કે નથુરામે અદાલતમાં આપેલા બયાન પ્રમાણે, હત્યા પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોડી દીધો હતો?ગોપાલ ગોડસેનો જવાબ હતો, ખરું પૂછો તો, ના. (નૉટ ઍક્ઝેક્ટલી). ટેકનિકલી અને થિયોરિટીકલી એ સભ્ય હતો જ.પણ તેણે પછીથી તેણે સંઘ માટે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેની શક્તિઓ નવનિર્મિત હિંદુ રાષ્ટ્ર દળમાં કેન્દ્રિત કરી હતી.પરંતુ અદાલતમાં તેણે આર.એસ.એસ. છોડી દીધું છે એવું નિવેદન સંગઠન પરથી દબાણ દૂર કરવા જ આપ્યું હતું, કારણ કે હત્યા પછી સંગઠન ભારે ભીંસમાં હતું.ગાંધીજીના પુત્રો સહિત બીજા કેટલાક અનુયાયીઓ હત્યારાને ફાંસીની સજા માફ કરવા આગ્રહ કરતા હોય, ત્યારે ગવર્નર જનરલ અને ગૃહમંત્રીની સ્થિતિ મૂંઝવણભરી થાય.કેમ કે, ગૃહમંત્રી સરદાર ગાંધીજીના આજીવન નિકટ સહયોગી હતા અને ગવર્નર જનરલ રાજગોપાલાચારી તો ગાંધીજીના વેવાઈ- સૌથી નાના પુત્ર દેવદાસના સસરા.(બે મોટા ભાઈઓની જેમ દેવદાસ ગાંધીએ પણ સજામાફીનો પત્ર ન લખ્યો, તેનું કારણ આ હશે? ખબર નથી.)પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સહિત અનેક ઉચ્ચ હોદ્દે રહી ચૂકેલા સ્વતંત્ર અભ્યાસી અને સગપણમાં ગાંધીજીના પૌત્ર (દેવદાસ ગાંધીના પુત્ર) ગોપાલકૃષ્ણ ગાંધીએ એક લેખમાં વિક્રમજીત બત્રાને ટાંકીને નોંધ્યું હતું કે ૧૯૪૮-૪૯ના ગાળામાં રાજગોપાલાચારી ગવર્નર જનરલ હતા ત્યારે દયાની ૩૮૪ અરજીઓ તેમની પર આવી હતી.આ બધી અરજીઓ ખૂનકેસમાં ફાંસીની સજા પામેલા લોકોની હતી.આવી અરજીઓમાં રાજાજી કેસની ઊંડી તપાસ કરતા, જરૂર પડ્યે સરકાર પાસેથી ખુલાસા માગતા અને પછી નિર્ણય લેતા.એ રીતે તેમણે ૬૬ કિસ્સામાં ફાંસીને જન્મટીપમાં ફેરવવાનો આદેશ આપ્યો હતો, પણ ૩૧૮ અરજીઓ ફગાવી દીધી હતી. (સ્ટીલ હેંગિંગ ફાયર, ગોપાલકૃષ્ણ ગાંધી, હિંદુસ્તાન ટાઇમ્સ, ૯-૯-૧૧)ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતની કદર હોવા છતાં, ગોડસે-આપ્ટેની સજામાફીનો નિર્ણય તેમને દેશના વડા તરીકે લેવાનો હતો, જેમાં સિદ્ધાંતચર્ચા કરતાં કાયદાની પ્રક્રિયાનું ધ્યાન વધારે રાખવાનું હતું.સાથોસાથ, એ પણ તેમના ધ્યાનમાં હતું કે ગુનેગારો તરફથી તેમના કૃત્ય માટે જરાય અફસોસ કે પસ્તાવો દર્શાવાયો ન હતો.આથી સત્તાવાર વલણ એવું લેવામાં આવ્યું કે ગાંધીજીની ઇચ્છા હોવા છતાં, ભારતમાં હજુ સુધી મૃત્યુદંડ નાબૂદ કરાયો નથી.માટે, જેમની પર સરકાર ચલાવવાની જવાબદારી છે તે લોકો એક જ સજા પામેલા જુદા જુદા ગુનેગારો વચ્ચે વહેરોઆંતરો રાખી શકે નહીં.આપણામાંથી ઉત્તમ કહેવાય એવા માણસની હત્યા કરનારને ફાંસીમાંથી માફી મળે અને બાકીના હત્યારાઓને ફાંસી મળે, એવો ભેદભાવ સરકારથી ન રખાય.વર્ષો પછી ઘણા લોકોના મનમાં ગાંધીહત્યાના સહયોગીઓ વિશે વિચિત્ર પ્રકારનું આકર્ષણ પેદા થયું.ગોપાલ ગોડસેના ઇન્ટરવ્યૂ કરવા ને ટાંકવા, એ ફૅશન બની ગઈ.થોડા લોકોએ જ તેમનાં જૂઠાણાં ઉઘાડાં પાડવાની મહેનત લીધી.બાકીનાએ તેમની રસિક કથાઓને સાચજૂઠની પરવા કર્યા વિના, કેવળ મનોરંજન ખાતર ચગાવી.તેમાં એક વાત મુખ્ય હતીઃ ગોપાલ ગોડસે મરણપથારીએ પડેલા રામદાસ ગાંધીના દર્શન કરવા ગયા અને કહ્યુંઃઅમે તો તમને જ મહાત્મા ગણીએ છીએ. કેમ કે, તમે તમારા પિતાના હત્યારા માટે સજામાફીની વાત કરી હતી.આ વાતને ગોપાલ ગોડસેની સારપ તરીકે પ્રચારવામાં આવે છે.હકીકતમાં, ગોડસે જે વિચારધારાના પ્રતિનિધિ હતા, તેની બેવડી નીતિ અને દંભનું આ ઉત્તમ ઉદાહરણ હતું.માફી અને ક્ષમાની તેમને આટલી જ કદરકિંમત હતી, તો ક્ષમાની વાત કરનારા ગાંધીજી પ્રત્યે તેમને આટલું બધું ખુન્નસ કેમ હતું કે તેમની હત્યા પછી માનવીય ધોરણે પણ અફસોસ કે પસ્તાવો ન થાય?પરંતુ આ તેમની વિચારધારાની તાસીર છે, જેમાં સિદ્ધાંત નહીં, સગવડ મહત્ત્વની છે.પ્રેમ અને ક્ષમા નહીં, ધિક્કાર અને હિંસા કેન્દ્રસ્થાને છે, જૂઠાણાં અને અર્ધસત્યો તેમની વ્યૂહરચના છે, તેમની તાકાત છે અને તેમનાં હથિયાર છે.રહી વાત સજામાફીની.ગાંધીજીના પુત્રોએ અને બીજા અનેક ગાંધીવાદીઓએ દિલથી સજામાફીની વાત કરીને પોતાનો ધર્મ ઉજાળ્યો, પણ તેમની વિનંતી હત્યારાઓ અને કાવતરાંબાજોની નિર્દોષતા સૂચવતી નથી કે નથી તેમના કાર્યનું વાજબીપણું દર્શાવતી.તે એટલું જ બતાવે છે કે સામેવાળો લાખ ઉદારતા બતાવે, તો પણ જેના મનમાં રાષ્ટ્રવાદના નામે કોમવાદ અને હિંદુ ધર્મના નામે કુતર્કપ્રેરિત ઝનૂનનું ભૂંસું ભરેલું હોય, તે બોલવા-લખવામાં ગમે તેટલા ચબરાક-બુદ્ધિશાળી હોય તો પણ તેમની માનસિકતા રીઢા હત્યારાની જ રહે છે.

Related posts

મેઇક ઈન ઈન્ડિયામાં પરિવર્તન

aapnugujarat

पश्चिम बंगाल में धारा 356 लगाने की तैयारी में केंद्र सरकार…?

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : લોકનેતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1