ેતિહાર જેલમાં રહેલા ત્રાસવાદી યાસીન ભટકલની જેલ બદલી કરી દેવામાં આવી છે. હવે તેને એ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે જેમાં કદી સંસદ પર હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૂને રાખવામાં આવ્યો હતો. અફઝલને ૯મી ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે સવારમાં તિહાર જેલમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે કોઇ મોટા ત્રાસવાદીને તેની સેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. અલબત્ત અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ આ સેલમાં અફઝલના ભુતને લઇને કેટલાક અહેવાલ આવી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે સુરક્ષા પાસાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા તેને જેલ નંબર ૪માં કેટલાક અન્ય કેદીઓની સાથે રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે તેને જેલ નંબર ત્રણમાં અફઝલવાળા સેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ સેલથી થોડા અંતરે જ ફાંસીવાળા તખ્તાની સેલ પણ છે. આ હાઇ સિક્યુરિટી વોર્ડમાં ૧૦ સેલ છે. તેમાંથી બ્લોક નંબર -૧ના સેલ નંબર એકમાં ભટકળને શિફ્ટ કરવામાં આવ્યો છે. ભટકલની ૨૮મી ઓગષ્ટ ૨૦૧૩ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. તિહાર જેલમાં તે લાંબા સમય સુધી જેલ નંબર ચારમાં રહ્યો હતો. તે હવે એકલા સેલમાં બંધ છે. તેની આસપાસના સેલમાં કેટલાક કાશ્મીરી ત્રાસવાદીઓને રાખવામાં આવ્યા છે. સુત્રો મુજબ જ્યારે ભટકલને આ સેલમાં શિફ્ટ કરવામાં આવ્યો ત્યારે તને પણ આ અંગેની માહિતી ન હતી કે આ સેલમાં કોઇ સમયે આતંકવાદી અફઝલને રાખવામાં આવ્યો હતો. તેને અહીં જ ફાંસી આપવામાં આવી હતી. એમ માનવામાં આવે છે કે, જ્યારે તેને આ અંગેની માહિતી મળી ત્યારે તે ભયભીત થઇ ગયો હતો. અફઝલના સંદર્ભમાં તેને વાતો કરતા સામાન્યરીતે જેલમાં જોઈ શકાય છે.