મહારાષ્ટ્રની બે પ્રચાર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના વિચારોની અભિવ્યક્તિ પર આપવામાં આવેલી ક્લિન ચીટમાં ચૂંટણી પંચના બેમાંથી એક કમિશનર દ્વારા મતભેદ દર્શાવવાનો મતલબ એમ થયો કે ‘મોદી-શાહનો ડર’ આખરે નબળો પડી રહ્યો છે, એમ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે જણાવ્યું હતું.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ એક એપ્રિલના રોજ મોદીએ વર્ધા ખાતે આપેલા ભાષણ અંગે બેમાંના એક ચૂંટણી કમિશનરે અસહમતીભર્યો નિર્ણય આપ્યો હતો. આ ભાષણમાં મોદીએ લઘુમતી પ્રભુત્વ ધરાવતી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા અને નવ એપ્રિલે લાતુરમાં આપેલા ભાષણમાં બાલાકોટ ઍરસ્ટ્રાઇક અને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોની દુહાઇ આપીને વોટની માગણી કરી હતી.
‘ચૂંટણી પંચના એક સભ્યને મોદી-શાહના ભાષણમાં ખામી દેખાઇ એનો અર્થ એમ થયો કે ચૂંટણી પંચ જીવંત છે,’ એમ ચિદમ્બરમે તેમની સંખ્યાબંધ ટ્વીટમાં જણાવ્યું હતું. ૬, ૧૨ અને ૧૯ મે જેમ જેમ નજીક આવશે તેમ તેમ કદાચ ચૂંટણી પંચ કદાચ મોદી અને શાહને ઠપકો પણ આપે. એનો અર્થ એ થયો કે મોદી-શાહનો ડર આખરે નબળો પડી રહ્યો છે,’ એમ ચિદમ્બરમે જણાવ્યું હતું.