અમદાવાદ જિલ્લામાં મોટાભાગના તળાવો હાલ ખાલીખમ પડયા છે. કેટલાક તળાવોમાં પાણી ઓછું હોવાથી ગરમીમાં પાણી તપતા માછલીઓ મરી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. સ્થાનિક સત્તાતંત્ર દ્વારા વિવિધ તળાવોમાં માછલીઓને મરતી બચાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં દસક્રોઇ તાલુકાના ગામોમાં તળાવોમાં ફૂંવારા મૂકવા, તળાવમાં બોટ ચલાવીને ઓક્સિજનનું પ્રમાણ વધારવાની કવાયત હાથ ધરાઇ છે.તળાવમાં પાણી ઓછું હોય, ઉંડાઇ વધુ ન હોય તેવી સ્થિતિમાં હાલની ૪૨ ડિગ્રી સુધીની ગરમીમાં તળાવનું બંધીયાર પાણી ગરમ થઇ જતું હોય છે. લીલ અને કાદવ કિચડ વધુ હોવાથી ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જતું હોવાથી ટપોટપ માછલીઓ મરી જતી હોય છે.દસક્રોઇના ગામોમાં ગત ઉનાળામાં મોટાપ્રમાણમાં તળાવોમાં માછલીઓ મરી ગઇ હતી. ચાલુ વર્ષે આવી સ્થિતિ ટાળવા માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં માછલીઓને ઓક્સિજન મળી રહે તે માટે તળાવમાં ફૂંવારા મૂકીને તળાવનું પાણી ઠંડું કરવું, લીલ, કાદવ-કિચડ સહિતનો પ્લાસ્ટીકનો કચરો કાઢવો, માછલીઓને પુરતો આહાર મળી રહે તેની વ્યવસ્થા કરવી વગેરે કામગીરી હાથ ધરી દેવાઇ છે. ત્યારે તળાવમાં મોટર બોટ ફેરવીને તળાવના બંધીયાર પાણીમાં મોટી માત્રામાં ઓક્સિજન પહોંચે તેની પણ વ્યવસ્થા કરાઇ છે.