રવિવારે ઈસ્ટર પર થયેલ શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ શ્રીલંકાએ આતંકીઓની સાથે કટ્ટરપંથીઓ પર સકંજો કસ્યો છે. ૨૧ એપ્રિલે થયેલ ઈસ્ટરમાં ત્રણ ચર્ચ અને ત્રણ હોટેલમાં ૮ સીરિયલ બ્લાસ્ટ બાદ શ્રીલંકાએ ૨૦૦ મૌલવીઓ સહિત ૬૦૦થી વધુ વિદેશી નાગરિકોને દેશમાંથી બહાર કરી દીધા છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે, મૌલવીઓ વિઝા પુરાં થવા છતાં પણ શ્રીલંકામાં રહી રહ્યા હતા. જેથી તેમને દંડ ફટકારી દેશથી બહાર નીકાળી દેવામાં આવ્યા છે.ગૃહ મંત્રી વાજિરા અભયવર્દ્ધને કહ્યું કે, દેશમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં લેતાં વિઝા પ્રણાલીની સમીક્ષા કરવામાં આવી અને ધાર્મિક શિક્ષકોના વિઝા પ્રતિબંધને કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, બહાર કરાયેલાં લોકોમાંથી ૨૦૦ મૌલવીઓ છે. એટલું જ નહીં, સરકારે લોકોને અપીલ કરી છે કે, ઘરમાં રહેલાં તલવારો સહિતનાં હથિયારોનો ત્યાગ કરી દે. શ્રીલંકા પોલીસે હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા રવિવાર સુધીનો સમય આપ્યો છે.શ્રીલંકામાં સતત બીજા રવિવારે કેથલિક સમુદાયે પોતાના ઘરોમાં પ્રાથના સભાનું આયોજન કર્યું. કોલંબોના આર્કબિશપ કાર્ડિનલ માલ્કોમે રંજિતે પોતાના ઘરમાં જ પ્રાથના સભાનું આયોજન કર્યું, જેનું જીવંત પ્રસારણ ટીવી પર કરવામાં આવ્યું હતું.