હજુ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમુલ કોંગ્રેસના ૪૦ ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો કર્યા બાદ ઊભો થયેલો વિવાદ શમ્યો પણ નથી ત્યાં ભાજપે નવો દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના ૧૪ ધારાસભ્યો તેના સંપર્કમાં છે. ભાજપે કહ્યું કે આ ધારાસભ્યો નિરાશા અને અપમાનના કારણે દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી છોડવા માંગે છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે કહ્યું કે આપ ધારાસભ્યો ખૂબ વ્યથિત છે અને પાર્ટી છોડવા તૈયાર છે. તેમણે પત્રકારો સાથેના વાર્તાલાપમાં કહ્યું કે ’આપ’ના ૧૪ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને જલ્દી પાર્ટી છોડી શકે છે કારણ કે તેઓ તેમની પાર્ટીના કામકાજથી નિરાશ છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ ’આપ’ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આરોપ મૂક્યો હતો કે ભાજપ સાત ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે ૧૦-૧૦ કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. જોકે ગોયલે સિસોદિયાના આરોપોનું ખંડન કર્યું હતું.