સુબ્રમણ્યમ સ્વામી તેમના વિવાદીત નિવેદનોને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. તેઓ ઘણી વખત તેમના નિવેદનોને કારણે તેમની જ પાર્ટીને મુશ્કેલીમાં મુકી દે છે. એક બાજુ પીએમ મોદી તેમની પાર્ટીને ફરી સત્તામાં લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યાં જ તેમની જ પાર્ટીના સાંસદ ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આ વખતે પાર્ટીને ચૂંટણીમાં બહુમત નહી મળે અને ભાજપ ૨૨૦થી ૨૩૦ સુધી બેઠકોમાં જ સમેટાઈ જશે, આ ઉપરાંત ભાજપે બહુમતી મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે. આ ઉપરાંત સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, જો પુલવામા હુમલા બાદ મોદી સરકારે બાલાકોટમાં એરસ્ટ્રાઈક ન કરી હોત તો ચૂંટણીમાં પાર્ટી ૧૬૦ બેઠકો પર જ સમેટાઈ ગઈ હોત. સુબ્રમણ્યમ સ્વામીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ૨૨૦થી ૨૩૦ બેઠકોમાં સમેટાઈ જશે તો કદાચ નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન નહી બની શકે. તેમણે કહ્યું કે, માની લો કે ભાજપ ૨૨૦ અથવા ૨૩૦ બેઠકો પર જ સમેટાઈ જાય અને એનડીએના સહયોગીને ૩૦ બેઠકો મળે તો આંકડો ૨૫૦ સુધી પહોંચશે, તેમ છતા ભાજપને અન્ય ૩૦ બેઠકોની જરૂર તો પડશે જ. નરેન્દ્ર મોદીના ફરી પીએમ બનવા અંગેના સવાલ પર સ્વામીએ કહ્યું કે, આ તો અન્ય સહયોગી દળો પર આધાર રાખે છે બહુમતી માટે વધુમાં વધુ ૩૦થી ૪૦ બેઠકોની જરૂર પડશે. સરકાર બનાવવા માટે બહુજન સમાજ પાર્ટી અને બીજેડી જેવા દળો સમર્થન કરી શકે છે. જો કે તેમને એવું પણ કહ્યું કે , નવીન પટનાયક પહેલા જ કહી ચુક્યા છે કે, નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળ માટે યોગ્ય નથી. આ ઉપરાંત માયાવતીએ પણ આ અંગે તેમનું મંતવ્ય રજુ નથી કર્યુ. સાથે જ માયાવતીએ એનડીએમાં જોડાવા અંગેના સવાલ પર કહ્યું કે, હા હું જોડાઈ શકુ છું જો એનડીએ તેમના નેતૃત્વમાં ફેરફાર કરવા માગે તો મને કોઈ વાંધો નથી. સ્વામીએ કહ્યું કે, પુલવામા હુમલા બાદ જો મોદી સરકારે એરસ્ટ્રાઈક ન કરી હોત તો ચૂંટણીમાં તેમને મોટા પાયે નુકસાન થયું હોત, હાલ તેમને આ વાતનો લાભ મળી રહ્યો છે. જો એરસ્ટ્રાઈક ન કરી હોત તો ભાજપ ૧૬૦ બેઠકો સાથે જ સમેટાઈ ગયું હોત.