Aapnu Gujarat
ગુજરાત

લુ લાગવાથી બચવા માટે જરૂર સિવાય બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવુ જોઇએ : ડો.ચિંતન દેસાઇ

ઉનાળાની ઋતુમાં વિરમગામ શહેર સહિત તાલુકામાં બપોરે ગરમીનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યુ છે અને લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સેવા વિસ્તારમાં અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ અને વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર વિરલ વાઘેલા દ્વારા વિરમગામ શહેર, થોરી મુબારક અને કરકથલ ગામમાં લોકોને લૂ લાગવાથી બચવાના ઉપાયો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને લૂ લાગવાથી બચવાના ઉપાયો અંગે સમજણ આપવામાં આવી રહી છે. ગરમીના કારણે શરીર ઉપર થતી વિપરીત અસરોથી બચવા માટે શક્ય તેટલુ વધુ પાણી પીવુ જોઇએ અને બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવુ જોઇએ.          અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઊંચા સ્તર સુધી પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે. વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનીકર્તા છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવાના કેસો નોધાઇ શકે છે. જેમાં સમયસર સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબીત થઇ શકે છે. લૂ લાગવાના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે, જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતુ નથી. જે વ્યક્તીના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે જેવી કે શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો, ખુબ જ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચડવો, હ્રદયના ધબકારા વધી જવા. ગરમીના સમયે પણ બપોરે મજુરી કરતા લોકોને લૂ લાગવાની શક્યતાઓ વધુ રહેલી છે. લુ લાગવાથી બચવા માટે શક્ય હોય તો બપોરના સમયે જરૂર સિવાય બહાર નિકળવાનું ટાળવુ જોઇએ. સગર્ભા બહેનો નાના બાળકો અને વડીલોનું ઉનાળાની ઋતુ દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ.         વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર વિરલ વાઘેલાએ લૂ લાગવાથી બચવાના ઉપાયો અંગે જણાવ્યુ કે, ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ અને સુતરાઉ કપડા પહેરવા જોઇએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વડીલો, અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવુ નહિ. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવુ જોઇએ. શક્ય હોય તો લીંબુનું સરબત બનાવીને પીવું જોઇએ. ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ અને જરૂર જણાય તો અવાર નવાર ભીના કપડાથી શરીર લુછવુ જોઇએ. ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યા સુધી ભુખ્યા ન રહેવુ જોઇએ. માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તરત જ 108 અથવા નજીકના સરકારી દવાખાનો રૂબરૂ  સંપર્ક કરવો જોઇએ તથા ડોક્ટરની સલાહ-સારવાર લેવી જોઇએ.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

ટામેટાંના ભાવમાં એક મહિનામાં ૬૦ ટકા ઘટાડો

aapnugujarat

ભુજના સ્મશાનમાં ચિતા સળગાવવા માટે લાકડા ખૂટી પડ્યા

editor

સુરતના પાસોદ્રા વિસ્તારમાં જુગારધામ પોલીસે ઝડપ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1