સરખેજ-ગાંધીનગર હાઇવે પર સોલા ભાગવત વિદ્યાપીઠની બહાર કેરળમાં થયેલી ગૌહત્યાના વિરોધમાં ઉપવાસ પર ઊતરેલા ભાજપના નેતા અને ગૌ સેવા બોર્ડના ઉપાધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ રાજકારણ રમાયાના મુદ્દે વ્યથિત છે. તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ સહયોગી બની સહકાર આપવા આવ્યા અને અમારી સાથે રાજકારણ રમી ગયા. એ મુદ્દે આજે ઉપવાસના બીજા દિવસે તેઓ કોંગ્રેસની કોઇ વ્યક્તિને મળશે નહીં. તેમના ૪૮ કલાકના ઉપવાસનું સ્થળ હવે રાજકીય મેળાવડો બની ગયું છે. ગઇ કાલ સાંજથી ભાજપના અનેક નેતાઓ તેમની મુલાકાત માટે દોડી ગયા હતા.ગઇ કાલે બપોરે ચૈતન્ય શંભુ મહારાજે ૪૮ કલાકના ઉપવાસની શરૂઆત કરી છે. કેરલમાં જાહેરમાં થયેલી ગૌ હત્યાના વિરોધમાં ૪૮ કલાકના ઉપવાસ પર ઊતરેલા ચૈતન્ય શંભુ મહારાજની ગઇ કાલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત પક્ષના આગેવાનોએ મુલાકાત લીધી હતી. ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે આજે કેટલાક મુસ્લિમ ભાઇઓએ ગૌ હત્યાના વિરોધમાં મને સમર્થન આપવાનું જણાવ્યું છે. તેઓ આજે અહીં આવશે એટલું જ નહીં માલધારી સમાજના આગેવાનો, મહિલા મોરચાના આગેવાન બહેનો, સહિત અનેક સાધુ-સંતો મારા સહયોગી બનશે.
અસારવાના ધારાસભ્ય આર.એન. પટેલ, જનતા દળના આગેવાન મયુર રાવલ સહિતના નેતાઓ સવારથી જ ચૈતન્ય શંભુ મહારાજ પાસે પહોંચી ગયા હતા. ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસની શરૂઆત પૂર્વે જ પાલડી ખાતેના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થરબાજી થઇ હતી. હાલમાં આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે ઉપવાસના સ્થળે ખાસ પોલીસ બંદોબસ્ત કરાયો છે.