ઇરાનમાં ભારત દ્વારા બનાવવામાં આવતા રણનૈતિક ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર અમેરિકાના પ્રતિબંધોની કોઇ અસર નહીં હોય. સોમવારે અમેરિકન સરકારે નિર્ણય કર્યો હતો કે, ઇરાનથી ઓઇલ આયાત કરનારા દેશોને પ્રતિબંધોમાં કોઇ છૂટ નહીં આપવામાં આવે. આ વર્ષે મે મહિનામાં ભારત સહિત ૮ દેશોને પ્રતિબંધોમાં મળેલી છૂટની સીમા ખતમ થઇ રહી છે. હવે અમેરિકન એડમિનિસ્ટ્રેશનમાં એક અધિકારીએ કહ્યું કે, ચાબહાર પ્રોજેક્ટ અલગ છે અને તેના પર પ્રતિબંધોની કોઇ ખાસ અસર નહીં પડે.
ઇરાનમાં ચાબહાર પોર્ટ ભારતના સહયોગથી બનાવવામાં આવી રહ્યો છે. તેને ભારત, અફઘાનિસ્તાન અને ઇરાનના મધ્ય એશિયન દેશો સાથે વેપાર માટે મહત્વનો ગણાય છે. આ પોર્ટ હિન્દ મહાસાગર પર ઇરાનના સીસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતમાં વિકસિત કરવામાં આવી રહ્યો છે. ભારતના પશ્ચિમ કોસ્ટથી ચાબહાર પોર્ટ સરળતાથી પહોંચી શકાશે. આ પ્રોજેક્ટને ગ્વાદર (પાકિસ્તાન)ની સરખામણીએ ભારતના રણનૈતિક પોર્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. ગ્વાદરને બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ ચીન વિકસિત કરી રહ્યું છે. ચાબહારથી અફઘાનિસ્તાનને રેલમાર્ગથી જોડવામાં આવશે. અમેરિકાએ ગત વર્ષે પોર્ટ પર વિકાસને લઇને ભારતને કેટલાંક ખાસ પ્રતિબંધોમાં છૂટ આપી હતી.અમેરિકાના અધિકારીએ કહ્યું કે, ચાબહાર પોર્ટ અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ અને પુનઃનિર્માણ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. ટ્રમ્પ સરકારે ઇરાન ઓઇલમાં છૂટ નહીં આપવાનો જે નિર્ણય કર્યો છે, તેની અસર આ પ્રોજેક્ટ પર કોઇ અસર નહીં થાય.
પાછલી પોસ્ટ