ભારતીય ઓપનર શિખર ધવને મંગળવારે કહ્યું કે, ઈંગ્લેન્ડમાં ૩૦ મેથી શરૂ થનારા આગામી આઈસીસી વિશ્વકપ માટે પસંદ કરાયેલી ૧૫ સભ્યોની ટીમ ઘણી મજબૂત છે. એમએસકે પ્રસાદની આગેવાની વાળી પસંદગી સમિતિએ સોમવારે ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી જેની આગેવાની વિરાટ કોહલી કરશે. રોહિત શર્માને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકે બીજા વિકેટકીપરના સ્થાનની દોડમાં રિષભ પંતને પછાડીને બાજી મારી છે.
ધવને અહીં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું, વિશ્વ કપ માટે અમારી ટીમ ઘણી મજબૂત અને સારી છે. અમે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છીએ. અમે ઈંગ્લેન્ડમાં સારૂ કરવાનો પ્રયત્ન કરીશું.
પોતાની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સ વિશે ધવને કહ્યું, કોચ રિકી પોન્ટિંગ અને સલાહકાર સૌરવ ગાંગુલીનો અનુભવ કામ આવી રહ્યો છે. બંન્નેનો પોત-પોતાની ટીમના કેપ્ટન તરીકે અનુભવ અને અમારા પર વિશ્વાસ સારો છે. યુવા ખેલાડીઓ પણ સમયની સાથે નિખરી રહ્યાં છે.