અમેઠીમાં ઉમેદવારીપત્ર ભરવાના ગાળા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સુરક્ષામાં ગાબડાને લઇને કોંગ્રેસ પાર્ટી સક્રિય થઇ ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ભુલ થઇ હતી. રાહુલ ગાંધીની સુરક્ષામાં આરોપને લઇને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પણ હવે જવાબ આપવામાં આવ્યો છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ દ્વારા કોંગ્રેસના આક્ષેપોને રદિયો આપવામાં આવ્યો છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની સુરક્ષામાં ગાબડાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમેઠીમાં ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા ત્યારે રાહુલ પર હુમલા માટેની યોજના તૈયાર કરવામાં આવી હતી. આના પર કેન્દ્ર સરકારે પણ જવાબ આપ્યો છે. ગૃહમંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમને કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઇપણ લેખિતમાં ફરિયાદ મળી નથી. વિડિયો સામે આવ્યા બાદ તેઓએ એસપીજી પાસેથી સફાઈ માંગી હતી. ગૃહમંત્રાલયના કહેવા મુજબ એસપીજીના ડિરેક્ટરે કહ્યું છે કે, જે લીલી લાઈટ વિડિયોમાં દેખાઈ રહી છે તે એઆઈસીસીના કેમેરામેન દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા ફોન છે. આ પહેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ તરફથી સિનિયર નેતા અહેમદ પટેલ, જયરામ રમેશ અને રણદીપ સૂરજેવાલાએ પત્ર મોકલ્યો હતો. પત્રમાં કોંગ્રેસ તરફથી રાહુલની જાન સામે ખતરો હોવાની વાત કરવામાં આવી હતી. સુરક્ષામાં ખામીને લઇને કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશની યોગી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી ૧૦મી એપ્રિલના દિવસે અમેઠી પહોંચ્યા હતા. તેમની માતા સોનિયા ગાંધી ઉપરાંત વાઢેરા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારને લખવામાં આવેલા પત્રમાં કોંગ્રેસે મતભેદોને બાજુમાં મુકીને તેમની સુરક્ષાને મહત્વ આપવાની વાત કરી છે. આને લઇને નવો વિવાદ પણ થયો છે.