પંજાબ સરકારમાં મંત્રી પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ પાછલા થોડા સમયથી તમામ કામ છોડીને ચુપચાપ બેઠા હતાં. કોંગ્રેસનાં કોઇ નેતા સાથે તેમનો સંપર્ક પણ ન હતો. મતલબ કે ખટાક ફેઇમ નવજોતસિંહ સિદ્ધુ નારાજ હતાં. આ તમામ માહિતી તેમની સાથે જોડાયેલી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી છે.
જો કે હવે તેમની નારાજગી દુર થઇ ગઇ છે. નવજોતસિંહ સિદ્ધુએ શુક્રવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને રવિવારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી.પંજાબની કેપ્ટન અમરિંદર સિંઘ સરકારનાં પ્રધાન નવજોતસિંહ સિદ્ધુએ ટિ્વટ કરીને આ માહિતી આપી કે પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા અનુરોધ કર્યો છે. આગામી ૧૦ એપ્રિલથી શરૂ કરીને સતત ૪૦ દિવસ સુધી સિદ્ધુ કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરશે.
નવજોતસિંહ સિદ્ધુએ ટિ્વટ કરીને માહિતી આપી હતી કે, તેમણે મને નિર્દેશ કર્યો છે કે, હું ધુંઆધાર પ્રચાર કરૂં અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી માટે અહેમદ પટેલ સાથે મુલાકાત કરૂં. પ્રચાર ૧૦ એપ્રિલથી શરૂ થશે, જે ૪૦ દિવસ સુધી ચાલશે.
મહત્વનું છે કે નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌરને લોકસભા ચૂંટણીમાં ચંડીગઢ બેઠક પરથી ટીકિટ ન મળતા નવજોતસિંહ નારાજ થયા હતાં. ચંડીગઢ સીટ પરથી કોંગ્રેસે સિનીયર નેતા પવન બંસલ પર પસંદગી ઉતારી છે. પહેલા એવી ચર્ચા ચાલતી હતી કે આ સીટ પર નવજોત કૌરને ટીકિટ મળશે. આ સીટ પરથી ૨૦૧૪ની ચૂંટણીમાં કેપ્ટન અમરિંદર સીંઘે અરૂણ જેટલીને હરાવ્યા હતાં.મહત્વનું છે કે છેલ્લા થોડા મહિનામાં નવજોસ સિદ્ધુ અને પંજાબનાં સીએમ અમરિંદર સિંહનાં સબંધોમાં કડવાશ આવી હતી. તેની પાછળ કારણ હતું કે નવજોત સિદ્ધુએ પાકિસ્તાન અને ત્યાં વડાપ્રધાન ઇમરાન ખાન પર નિવેદન આપ્યું હતું. ૧૩ લોકસભા બેઠકો ધરાવતા પંજાબ રાજ્યમાં કોંગ્રેસ પાસે ચાર બેઠકો છે. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પણ ચાર બેઠકો મળી હતી. આ સિવાયની બેઠકો અકાલી-ભાજપ ગઠબંધનને ફાળે ગઇ હતી.