ભારતીય રિઝર્વ બેંકના વ્યાજ દરમાં ઘટાડા બાદ હવે ખાનગી બેંક એચડીએફસી બેંકે પણ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં ઘટાડાની જાહેરાત કરી છે. નવા દરો આજથી લાગુ થશે. જે બાદ બેંકની હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સસ્તી થશે.એચડીએફસી બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં ૦.૧૦ ટકાનો ઘટાડો કર્યો છે. એચડીએફસી બેંકે એક વર્ષના દેવા પર એમસીએલઆર ૮.૭૫ ટકાથી ઘટાડીને ૮.૬૫ ટકા કર્યું છે. બેંકનું મોટાભાગનું દેવુ આ સમયમર્યાદાના વ્યાજ દરથી જોડાયેલું હોય છે. ઉપરાંત બેંકે છ મહિના, ત્રણ મહિના અને એક મહિનાના એમસીએલઆરને ઘટાડીને ૮.૪૫ ટકા, ૮.૩૫ ટકા અને ૮.૩૦ ટકા કર્યો છે.એમસીએલઆરને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ પણ કહેવાય છે. આમાં બેંક તેના ફંડના ખર્ચ પ્રમાણે લોનના દર નક્કી કરે છે. આ બેંચમાર્ક દર હોય છે. તે વધતાં તમે લીધેલી લોન મોંઘી થાય છે.એમસીએલઆરમાં ઘટાડો થાય તો સામાન્ય લોકોએ સૌથી મોટો લાભ એ થાય છે કે, તેની હાલમાં ચાલી રહેલી લોન સસ્તી થાય છે અને તેને પહેલાંની સરખામણીમાં ઓછું ઇએમઆઇ આપવું પડે છે.ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. રેપોમાં ઘટાડા બાદ તે ૬ ટકા પર આવી ગયું છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ ઘટીને ૫.૭૫ ટકા પર આવી ગયું છે.