આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના યુવા ધારાસભ્ય જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાવનગર લોકસભાના ઉમેદવાર ડૉ. ભારતીબેન શિયાળના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા, મંત્રી સૌરભ પટેલ, વિભાવરીબેન દવે અને વિશાળ સંખ્યામાં ભાજપાના સમર્થકો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે ભાજપાના ઉમેદવાર ડૉ. ભારતીબેન શીયાળના નામાંકન પ્રસંગે ઉપસ્થિત રહી વિશાળ જનસભાને સંબોધન કર્યુ હતુ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેબીનેટ મંત્રી સૌરભ પટેલ, મંત્રી વિભાવરીબેન દવે તથા આગેવાનો અને હજારો કાર્યકર્તાઓ સાથે રોડ-શો સ્વરૂપે નામાંકન પત્ર દાખલ કરવા પહોચ્યા હતા. જનસભાને સંબોધન કરતાં વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં ‘‘સાફ નિયત, સહી વિકાસ’’ના મંત્ર સાથે ભાજપા તરફી જનજુવાળ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દેશની જનતા જ્ઞાતિવાદ, જાતિવાદ, પરિવાદવાદ કે પ્રાંતવાદના રાજકારણમાંથી બહાર આવી વિકાસયાત્રાના રાજકારણને સમર્થન આપી સ્પષ્ટ બહુમતીવાળી સ્થિર સરકારને ચૂંટવા તત્પર બની છે. ભાવનગર લોકસભાના ઉમેદવાર ડૉ. ભારતીબેન શીયાળને જંગી બહુમતીથી વિજયી બનાવવા તેમજ માઁ ભારતીને પરમ વૈભવના શિખરે લઇ જવાના સંકલ્પ સાથે ‘‘ભારત કહે અને દુનિયા કરે’’ – તેવા ગૌરવવંતા દેશના નિર્માણ કરવાનું નેતૃત્વ ફરીથી નરેન્દ્ર મોદીના હાથમાં સોંપવા જનસભામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ અને સમર્થકોને વાઘાણીએ હાકલ કરી હતી. જીતુ વાઘાણી આવતીકાલે પોરબંદર ખાતે ભાજપાના ઉમેદવાર રમેશ ધડુકના નામાંકન પ્રસંગે તેમજ તારીખ ૪ એપ્રિલે પાલનપુર ખાતે પરબત પટેલના નામાંકન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
આગળની પોસ્ટ