કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી પ્રચારનો પ્રવાસ શરૂ કર્યો હતો. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી બાદ રાહુલ ગાંધીએ દ્વારકા મંદિરમાં વિધિવત્ પૂજા કરી હતી અને જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા હતા. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના અગ્રણીઓ સાથે પ્રચાર અર્થે નીકળ્યા હતા. આ અગાઉ બપોરે રાહુલ ગાંધી મીઠાપુર હેલિપેડ પર ઉતર્યા ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોંલકી, સિનિયર નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનો તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. દ્વારકાના ભથાણ ચોકમાં સોથી વધુ કન્યાઓ દ્વારા રાહુલગાંધીનું કુમકુમ સ્વાગત કરાયું હતું. એ પછી રાહુલ ગાંધી દ્વારકાધીશના મંદિરમાં પહોંચ્યા હતા, જયાં તેમણે મંદિરના દ્વારકાધીશની આગળ બેસી વિધિવત્ પૂજા, દર્શન અને આરતી કર્યા હતા. મંદિરના મહારાજગણ તરફથી તેમને પવિત્ર ખેસ અને માળા પહેરાવાયા હતા અને આશીર્વાદ અપાયા હતા. આ પહેલાં રાહુલ ગાંધીએ જગદ્ગુરૂ શંકરાચાર્યના શારદાપીઠની મુલાકાત લઇ તેમના આશીર્વાદ લીધા હતા. દરમ્યાન ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી રોડ-શો કરતાં વિધિવત્ પ્રચાર અર્થે નીકળ્યા હતા. તેઓ રસ્તામાં કલ્યાણપુર, ભાટિયા અને ખંભાળિયામાં લોકોને મળ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી જામનગર પહોંચ્યા હતા, ત્યાં પણં વિશાળ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા એ પછી વુલનમિલ સર્કલ, કલેકટર કચેરી, બેડી બંદરથી પંડિત નહેરૂમાર્ગ, ડીકેવી સરક્લ, અંબર સિનેમા થઇ ચાંદીબજાર પહોંચી હતી. ચાંદીબજારમાં રાહુલ ગાંધી સ્થાનિક વેપારીઓ અને સમાજના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને જાહેરસભા સંબોધી હતી. આવતીકાલે તા.૨૬મીએ ધ્રોલ, લતીપુર થઇ તેઓ મોરબીના ટંકારા પહોંચશે. ટંકારામાં રાહુલ ગાંધી સ્થાનિક ખેડૂતોને સંબોધન કરશે. ત્યાંથી તેઓ સીધા રાજકોટ આવશે અને ત્યાં અલગ-અલગ વિસ્તારોમાં ફરશે. તા.૨૭મીએ તેઓ બામણબોર થઇ ચોટીલા જશે અને ત્યારબાદ જસદણ, આટકોટ થઇને વિરપુર જલારામ મંદિરે દર્શન કરી ત્યાંથી ખોડલધામ મંદિરે દર્શન કરી જેતપુરમાં જાહેરસભા સંબોધશે.
આગળની પોસ્ટ