દ્વારકાથી સૌરાષ્ટ્રઝોનમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર શરૂ કરનાર કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પોતાની જાહેરસભા દરમ્યાન મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટીના કારણે દેશને ખાસ કરીને ખેડૂતો, ગરીબો, મધ્યમવર્ગ તેમ જ નાના વેપારીઓ- લઘુ ઉદ્યોગને કલ્પી ના શકાય તેવું પારાવાર નુકસાન થયું છે. મોદી સરકાર અને ભાજપ એ પાંચ-છ ઉદ્યોગપતિઓ અને કંપનીઓ માટે નિર્ણયો કરે છે. ગરીબો અને ખેડૂતોને વીજળી-પાણી પૂરું પાડવાને બદલે મોદી સરકાર તેમની માનીતી કંપનીઓને સસ્તા ભાવે જમીન, પાણી અને વીજળી પૂરી પાડે છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો, ખેડૂતો, યુવાઓ અને ગરીબોની સરકાર બનશે. સૌકોઇને કોંગ્રેસ રાહત આપશે. ડીઝીટલાઇઝેશનના લીધે ખેડૂતોને કોઇ ફાયદો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર માટે પહોંચેલા રાહુલે વડાપ્રધાન ઉપર પ્રહારો કર્યા હતા. મોદીએ કોઇની સલાહ લીધા વગર ભારતના અર્થતંત્ર ઉપર જોરદાર આક્રમણ કરી દીધું છે. ત્યારબાદ પણ તેઓ રોકાયા ન હતા. નોટબંધીથી નાના કારોબારીઓ ્અને વેપારીઓને ભારે નુકસાન થયું છે. રાહુલ ગાંધીએ હાઇફાઇ લક્ઝરી બસમાં ઉભા રહીને જ માઇક મારફતે જાહેરસભા અને સ્થાનિક લોકો-ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારના નિર્ણયનો કારણે આજે દેશમાં દુઃખ છે, પ્રજા ત્રસ્ત છે. દેશમાં યુવાનો માટે રોજગારી નથી, ખેડૂતોને તેમની પાકપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોથી દેશને અને પ્રજાજનોને ભયંકર હદે નુકસાન થયું છે. એકબાજુ, ગુજરાતના ખેડૂતોને વીજળી-પાણી સમયસર કે પૂરતા મળતા નથી ત્યારે બીજીબાજુ, મોદી સરકારના માનીતા ઉદ્યોગપતિઓ અને તેમની કંપનીઓને સસ્તા ભાવે જમીનથી માંડી વીજળી-પાણી પૂરા પાડવામાં આવે છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, કોંગ્રેસ જે વાયદા કરે છે કે જે વચનો આપે છે, તે નિભાવી જાણે છે અને ભાજપ માત્ર ઠાલા વચનો આપે છે. મોદીજીએ કરોડો યુવાઓને રોજગારી આપવાની વાત કરી હતી પરંતુ આજે દેશના કરોડો યુવાનો રોજગારની તલાશમાં ભટકી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કોઇને પણ પૂછયા વિના દેશની આર્થિક તરલતા પર જબરદસ્ત પ્રહાર કર્યો અને ત્યાં અટકયા નહી. જે દુકાનદાર, નાના વેપારી હતા, તેઓને કુઠારાઘાત વાગ્યા અને પાછુ જીએસટી આવ્યું. તેમણે ઉમેર્યું કે, હિન્દુસ્તામાં જે નબળા છે, ગરીબ છે….તેમના માટે વડાપ્રધાનના દિલમાં જગ્યા નથી, પરંતુ અમીરો માટે તમામ દરવાજા ખોલી દે છે. જીએસટીથી નાના દુકાનદારો-વેપારીઓની મુશ્કેલીઓ ભયંકર વધી છે અને માત્ર પાંચ-છ કંપનીઓને ફાયદો થયો છે. તેમણે પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો, ખેડૂતો, યુવાઓ, મહિલાઓ અને નાના વેપારીઓ-લઘુ ઉદ્યોગ માટે પ્રોત્સાહક નીતિ અમલમાં લાવશે અને સૌના લાભ અને હિતમાં નિર્ણય કરશે. કોંગ્રેસની સરકાર ખેડૂતો, યુવાઓ અને ગરીબોની સરકાર હશે.
પાછલી પોસ્ટ