લોકસભા ચૂંટણી ર૦૧૯ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને એક મોટો ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિપક્ષથી લઇને પુલવામા આતંકી હુમલો, પાકિસ્તાન વિરુદ્ધ એર સ્ટ્રાઇક, એરફોર્સના પાઇલટ અભિનંદનની વાપસી અને ઇમરાનખાન પર ખુલ્લા મને વાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ર૦૧૯ની ચૂંટણીમાં અમે ૩૦૦થી વધુુ બેઠકો જીતીશું. આ વખતે અમારી સામે મુકાબલામાં કોઇ છે જ નહીં. જ્યારે ર૦ર૪માં મોદીની વિરુદ્ધ મેદાનમાં કોઇ પણ હોઇ શકે છે. આ વખતે મહાગઠબંધનનું ગણિત કામ નહીં કરે. ઉમેદવારી પત્રો ભર્યા બાદ વિરોધ પક્ષો વિખેરાઇ જશે, પરંતુ ર૦૧૯માં સરકાર બનાવ્યા બાદ અમે વિપક્ષોને સાથે લઇને કામ કરીશું. મોદીએ કહ્યું કે વિપક્ષે હવે ૨૦૨૪ માટે અત્યારથી તૈયારી શ કરી દેવી જોઈએ કેમ કે ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટેની જનતાએ મન બનાવી લીધું છે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ચૂંટણી દરમિયાન વાયદાઓ કરીને નવયુવાનોને લૂંટયા છે. નહેરુજી પણ ગરીબીની વાત કરતા, ઇન્દિરાજી પણ ગરીબીની વાત કરે છે. આજે તેમની પાંચમી પેઢી પણ ગરીબીની વાત કરી રહી છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિરુદ્ધ મહાભિયોગ લાવનાર, મીડિયા પર પ્રતિબંધો મૂકનાર અને કટોકટી લાદનાર લોકો મહેરબાની કરીને મને જ્ઞાન આપવાનો પ્રયાસ ન કરો એમ જણાવીને મોદીએ કહ્યું કે મને ગાળો આપવી એ વિપક્ષોની આદત થઇ ગઇ છે. જેઓ પોતાના પીએમ પર શક કરતા હોય અને જેઓ પાકિસ્તાનનાં પીએમનાં વખાણ કરતાં હોય તેમને હવે ઓળખી કાઢવાની જરૂર છે.
રોજગાર મામલે વિપક્ષો પર વળતો પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું શું જે લોકો ઇપીએફ ભરી રહ્યા છે તેઓ રોજગાર વગરના છે? જે લોકો સડકો બનાવી રહ્યા છે તે શું રોજગાર વગરના છે? કોંગ્રેસ આંકડા વગર લોકો વચ્ચે રોજગાર અંગે જુઠાણાં અને ભ્રમ ફેલાવી રહી છે.
જ્યારે પાકિસ્તાને એરફોર્સના પાઇલટ અભિનંદનને પરત સોંપ્યા ત્યારે દેશના તમામ રાજકીય પક્ષોએ એક સાથે કહેવું જોઇતું હતું કે એમને દેશની સેના પર ગર્વ છે કે તેમણે પાકિસ્તાનના એફ-૧૬ને ફૂંકી માર્યું છે. તેના બદલે અભિનંદન કયારે પરત આવશે તેની ચર્ચા કરવા લાગ્યા હતા. એ રાત્રે વિરોધ પક્ષોએ કેન્ડલ લાઇટ માર્ચ યોજીને પુલવામા હુમલાને મુદો બનાવવાનું ષડયંત્ર તૈયાર કરી લીધુ હતું, તે પહેલાં જ સાંજે ૪-પ વાગ્યે પાકિસ્તાનના વડા પ્રધાને અભિનંદનના વાપસીની જાહેરાત કરી દીધી હતી અને તેથી વિપક્ષોનું ષડયંત્ર ધરાશાયી થઇ ગયું હતું.
નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચેક્સી પર પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ અમારા પર પ્રહાર કરી રહ્યું છે કે આ લોકો ભાગી ગયા, પરંતુ અમારી જ કઠોર નીતિઓ છે જેના કારણે આ લોકો દેશ છોડીને ભાગી ગયા. પરંત શું તમે મેહસૂસ કર્યું કે અમે આ લોકોની સંપત્તિ મોટી સંખ્યામાં જપ્ત કરી છે. જેટલા રૂપિયા લઈને આ લોકો ભાગી ગયા હતા તેનાથી વધુની સંપત્તિ તો અમે લોકોએ જપ્ત કરી લીધી છે, જે બાદ આ લોકોની સમસ્યા ભારે વધી ગઈ છે.
આગળની પોસ્ટ