અયોધ્યા રામજન્મ ભૂમિ મુદ્દો દેશમાં ચૂંટણી માટે મહત્વનો મુદ્દો બની રહ્યો છે. જે મામલે વિતેલા કેટલાક સમયથી વિપક્ષ દળ અને ભાજપાના કેટલાક સહયોગી દળોએ પણ ભાજપા સરકાર પર દબાણ ઊભું કર્યું હતું.રાજકીય મુદ્દામાં ફેરવાયેલ આ મુદ્દે દરેક રાજકીય પાર્ટી આડે દિવસે નિવેદન આપતી રહે છે, જેમાં રવિવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
રામ મંદિર નિર્માણના સમર્થનમાં યોગી આ પહેલા પણ નિવેદન કરી ચૂક્યા છે. રાજ્યની રાજધાની લખનૌમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધતા સીએમ યોગીએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ અયોધ્યા પર હિન્દુ તેમનો દાવો ક્યારેય નહી છોડે, ત્યાં રામજી બિરાજમાન છે અને એજ રામ જન્મભૂમિ છે.
સીએમ યોગીએ અતિ મહત્વના મુદ્દા વિશે જણાવ્યું કે, રામ મંદિર અમારા માટે ચૂંટણી મુદ્દો ક્યારેય ન હતો, અયોધ્યામાં લોકલાગણીનું સન્માન થવું જોઇએ. અમે પહેલા પણ વાતચીત માટે રજૂઆત કરી પરંતુ પૂરાવા માંગવા પર મુસ્લિમ પક્ષ હમેશાં દૂર જતું રહેતું હતું. અયોધ્યા રામજીની જન્મભૂમિ છે આથી, મુસલમાન બાબરી મસ્જિદની વાતને છોડી દે. સર્વેમાં પણ જન્મભૂમિના સ્થળે મંદિરની વાત કરવામાં આવી છે.
કાર્યક્રમને સંબોધતા યોગીએ રાજ્યમાં સપા-બપસાના ગઠબંધનન પર નિશાના સાધ્યા હતા. તેમણે કટાક્ષ કર્યો હતો કે, ૨૦૧૪માં બસપાની ઝીરો સીટ આવી હતી, જો ઝીરો સાથે ગુણવામાં આવે તો પરિણામ ઝીરો જ આવશે. ભાજપા આ વખતે અમેઠી અને આઝમગઢની સીટો જીતશે. યોગીએ આ દરમિયાન હાલમાં જ રાજકારણમાં પ્રવેશ લેનાર પ્રિયંકા ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું કે, તેઓ પહેલી વાર ચૂંટણી સમરમાં નથી ઉતર્યા, ૨૦૧૭માં તેમણે બંને યુવકો (રાહુલ અને અખિલેશ)ને ભેગા કરવાનું કામ કર્યું, પરંતુ રાજ્યની જનતાએ તેમને નકારી કાઠ્યા હતા. યોગીએ તેમના સંબોધનમાં ભાજપા સરકારની પ્રશંસા કરતા ચૂંટણી વિજયનો દાવો કર્યો હતો.