Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અંકુશરેખા પર પાકિસ્તાનનો ફરી વખત ભીષણ ગોળીબાર

જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો છે. જેના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી સર્જાઇ ગઇ છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિસ્તારમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનના આ ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. જ્યારે અન્ય એક જવાનને ઇજા થઇ છે. બુધવારે મોડી રાત્રે પાકિસ્તાને એકાએક ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનોએ જોરદાર જવાબ આપ્યો હતો. થોડાક દિવસ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના ચાર જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બીએસએફના અધિકારીઓના કહેવા મુજબ બુધવારે મોડી રાત્રે નવ વાગે ગોળીબારની શરૂઆત થઇ હતી. હેવાલ મુજબ પાકિસ્તાને અરનિયા સેક્ટરમાં પણ ગોળીબાર કર્યો હતો. આના કારણે કેટલાક ગામોને નુકસાન થયુ છે. જો કે હજુ સુધી ગામોને ખાલી કરાવવાના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. હાલમાં પાકિસ્તાનની સામે કાર્યવાહી જારી છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને જટિલ સ્થિતી સર્જે છે. ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના ઇરાદા સાથે આ કાર્યવાહી કરવામાં આવે છે. ભારતીય સેનાએ ઉત્તરાયણ બાદ અંકુશરેખા પર મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેના ભાગરુપે સાત પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અન્ય ચાર જવાનો ઘાયલ પણ થયા હતા. જમ્મુ કાશ્મીરમાં પૂંચ જિલ્લામાં અંકુશરેખા ઉપર અગ્રિમ ચોકીઓ ઉપર સેનાએ આ કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કોટલી સેક્ટરમાં જનદ્રુતમાં અંકુશ રેખા પર તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા. છેલ્લા થોડાક દિવસથી ઉરી સેક્ટરમાં ઘુસણખોરીને લઇને માહિતી મળી રહી હતી. પાકિસ્તાને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર યુદ્ધવિરામ ભંગના ૭૨૦ વખત પ્રયાસો કર્યા હતા જે છેલ્લા સાત વર્ષની અંદર સૌથી વધારે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે રહેલા આકંડા મુજબ પાકિસ્તાની સેનાએ વર્ષ ૨૦૧૬માં ૪૪૯ વખતની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા ઉપર યુદ્ધવિરામ ભંગના ૪૨૪ વખત પ્રયાસો કર્યા હતા.
ગયા વર્ષે ઓક્ટોબર સુધી સરહદપારથી કરાયેલા ગોળીબારમાં ૧૨ નાગરિકો અને ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. ગયા સપ્તાહમાં જ પાકિસ્તાની સેનાને ફરી એકવાર ચેતવણી આપવામાં આવી હતી. ભારતીય સેના દ્વારા સ્થિતિને સામાન્ય બનાવવા તમામ પ્રયાસો કરાયા હોવા છતાં પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખવામાં આવ્યા છે.ઉત્તરાયણ બાદ જમ્મુ કાશ્મીરમાં મોટી સફળતા હાસલ કરી હતી. ૬ ત્રાસવાદીઓને મોટુ ઓપરેશન હાથ ધરીને ઠાર મારી દેવામાં આવ્યા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારુગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

Related posts

મમતા દીદી પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે : શાહ

editor

मई में घटकर पांच माह के निम्नस्तर २.१७ प्रतिशत पर

aapnugujarat

मेक इन इंडिया: 170 एयरक्राफ्ट्स के लिए 1.5 लाख करोड़ की डील करेगी वायुसेना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1