રિઝર્વ બેન્કે અચાનક 2000 રૂપિયાની કરન્સી નોટો બેન્કમાં જમા કરવાની સૂચના આપી તેના કારણે ઘણા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. નોટબંધી વખતે બેન્કોની લાઈનમાં ઉભા રહેવાનો કડવો અનુભવ થયા પછી ઘણા લોકો અત્યારે 2000 રૂપિયાની નોટ વટાવવા અથવા જમા કરવા માટે બેન્કોમાં સમય બગાડવાના બદલે તે રૂપિયા ખર્ચ કરી નાખવાનું વધારે યોગ્ય માન્યું છે. ગ્રાહકો મોટા ભાગે કપડાની ખરીદી, પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ વગેરેમાં જઈને 2000ની નોટ વાપરી રહ્યા છે. ઘણા લોકો 2000ની નોટ વટાવવા માટે સ્ટોર્સમાં જઈને મોટી ખરીદી કરી નાખે છે અથવા પેટ્રોલ પંપ પર જઈને ગાડીની ટાંકી ફૂલ કરાવી નાખે છે. તેમને લાગે છે કે બેન્કમાં જઈને લાઈનમાં સમય બગાડવા કરતા આ વધુ સારી રીત છે. છેલ્લા ત્રણ દિવસમાં મુંબઈમાં પેટ્રોલ પંપ પર 2000ની નોટ દ્વારા રોકડમાં ખરીદીમાં 15 ગણો વધારો થયો છે. કેટલાક એપેરલ રિટેલર્સને આવામાં બિઝનેસ વધારવાની તક મળી ગઈ છે. તેઓ ગ્રાહકોને મેસેજ મોકલીને જણાવે છે કે અમારે ત્યાં 2000 રૂપિયાની નોટ આપીને ખરીદી કરી શકો છો, તેવી જ રીતે દેશભરમાં રેસ્ટોરન્ટ્સ પર પણ લોકો કાર્ડ કે UPIથી પેમેન્ટ કરવાના બદલે 2000 રૂપિયાની નોટ આપીને પેમેન્ટ કરી રહ્યા છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ કબીર સુરીએ જણાવ્યું કે લોકો મોટા ભાગે 2000ની નોટ દ્વારા પેમેન્ટ કરી રહ્યા છે.
હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન, વેસ્ટર્ન ઈન્ડિયાના પ્રેસિડન્ટ પ્રદીપ શેટ્ટી જણાવે છે કે લોકો રેસ્ટોરન્ટ પર પેમેન્ટ કરવા માટે કરન્સી નોટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ લોકો ભાગ્યે જ કેશમાં ટ્રાન્ઝેક્શન કરતા હતા.
પેટ્રોલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ ચેતન મોદીએ જણાવ્યું કે મુંબઈમાં લગભગ 250થી વધારે પંપ પર રોજ 2000ની લગભગ 20 નોટનું ટ્રાન્ઝેક્શન થતું હતું, જેની સંખ્યા હવે વધીને 300 નોટ સુધી પહોંચી ગયું છે. ઘણી જગ્યાએ લોકો 50 કે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા આવે છે અને 2000 રૂપિયાની નોટ આપે છે, તેના કારણે ગ્રાહકો અને પેટ્રોલપંપના સ્ટાફ વચ્ચે ઘણી જગ્યાએ દલીલો થાય છે.