રવિવારે સાંજે ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની સંભાવનાઓ વહેતી થઇ છે, એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલે કેન્દ્ર પર આકરા પ્રહારો કરતા વર્તમાન સરકાર પર સેનાનો રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસ નેતા એહમદ પટેલે આ દરમિયાન ચૂંટણી પ્રચારમાં સશસ્ત્ર દળોના ઉપયોગ પર અંકુશ મેળવવા ચૂંટણી પંચની ભલામણની જરુરિયાત પર જોર આપતા જણાવ્યું કે, ભાજપા સરકાર તેની નિષ્ફળતાઓને દબાવવા માટે સેનાનો ઉપયોગ કરતા ખતરનાક રસ્તે ચાલી રહી છે.આ પહેલા ચૂંટણી પંચે શનિવારે ભલામણ કરતા જણાવ્યું હતું કે, દેશના બધા જ રાજકીય દળોએ તેમના ચૂંટણી પ્રચારમાં સૈનિકો અને સૈન્ય અભિયાનોના ફોટાઓનો ઉપયોગ કરવાથી દૂર રહેવુ.
ચૂંટણી પંચ મુજબ દેશના એક રાજકીય દળે તેના પોસ્ટરમાં વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના ફોટાનો ઉપયોગ કર્યો હતો. જે પછી પંચે આ મામલે સૈન્યથી લગતી કોઇ પણ માહિતીનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં ન કરવાની સલાહ આપી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આ મામલે ટ્વીટ કરી હતી કે,ચૂંટણી પ્રચારમાં સૈનાના ઉપયોગ પર અંકુશ માટે ચૂંટણી પંચની ભલામણની ખાસ જરુરિયાત છે અને તેને તાત્કાલિક ધોરણે લાગૂ કરવામાં આવે. સેનાને રાજકારણથી દૂર રાખો.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ડિસેમ્બર ૨૦૧૩માં પણ રક્ષણ ખાતાની ફરિયાદ સામે આ પ્રકારની ભલામણ જાહેર કરી હતી.