ધરતી પરનાં સ્વર્ગ ગણાતા કાશ્મીરના પ્રવાસે જવું ભારતીય પ્રવાસીઓની પહેલી પસંદગી હોય છે. તેમાં ગુજરાતીઓ અગ્રેસર હોય છે. માત્ર મુંબઈમાંથી દર વર્ષે અંદાજે ૨૫૦૦૦થી વધુ પ્રવાસીઓ કાશ્મીર પ્રવાસે જાય છે. જોકે નેશન ફર્સ્ટની ઝુંબેશ સાથે મુંબઈના ટૂર ઓપરેટરોએ નો ટુ કાશ્મીરની નીતિ અપનાવવાની જાહેરાત કરી છે. શહેરના ગુજરાતી પ્રવાસીઓએ તેને બહોળો પ્રતિસાદ આપ્યો છે.
જમ્મુ-કાશ્મીર ટૂરિઝમને એક અંદાજ મુજબ ૧૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે. ઉનાળાના આગામી વેકેશન દરમિયાન નહિવત પ્રમાણમાં પ્રવાસીઓએ કાશ્મીરની ટૂરમાં રસ દાખવ્યો છે. ટૂર ઓપરેટરનું કહેવું છે કે જમ્મુ જઈશું, લેહ-લદ્દાખ જઈશું, પરંતુ કાશ્મીર નહીં જઈએ.
ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરી પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કરતાં ૪૦ જવાન શહીદ થયા હતા. આ ઘટનાના ભારત સહિત દુનિયાભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાતના અનેક ટૂર ઓપરેટર્સે નો ટુ કાશ્મીર ઝુંબેશને ટેકો આપ્યો છે. આ કારણે આગામી વર્ષમાં જમ્મુ-કાશ્મીર ટૂરિઝમને ૧૦૦ કરોડનો ફટકો પડશે તેવી શક્યતાઓ છે.
છેલ્લાં ૩૫ વર્ષથી જમ્મુ-કાશ્મીર ટૂરનું આયોજન કરતા ટૂર ઓપરેટર જેમ્સ ટૂર્સના ડિરેક્ટરે જણાવ્યું હતું કે અમે નેશન ફર્સ્ટની ઝુંબેશ હેઠળ આતંકવાદીઓને પ્રોત્સાહન આપતા લોકોને સબક શીખવવા માટે અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને કાશ્મીરની એક પણ ટૂરનું આયોજન કરવાના નથી. નો ટુ કાશ્મીરની ઝુંબેશને મુંબઈ શહેરના મોટા ભાગના ટૂર ઓપરેટરોએ સમર્થન આપ્યું છે. આ નિર્ણયથી ટૂર ઓપરેટર્સને પણ નુકસાન તો થશે, પરંતુ તેને તેની પરવા નથી.