ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ રામ મંદિરમાં પૂજા કરવાનો તેમનો મૂળભૂત અધિકાર હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.
આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્વામીને આવતીકાલે અયોધ્યામાં રામજન્મભૂમિના કેસની સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે પાંચ જજોની બેન્ચ ૨૬મી જાન્યુઆરીએ અયોધ્યા કેસની સુનાવણી શરૂ કરશે. અગાઉ જસ્ટિસ યુ યુ લલિત અયોધ્યા કેસની સુનાવમી માટેની પીઠમાં રહેવાનો ઈનકાર કરતા કેસની મુદત પડી હતી અને ચીફ જસ્ટિસે નવી બેન્ચની રચના કર્યા બાદ હવે મંગળવારથી આ મામલે સુનાવણી શરૂ થશે.
સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં તેમની અરજીના લિસ્ટિંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે બેન્ચે આ બાબતે તાત્કાલિક અલગથી સુનાવણી કરવી જોઈએ. જો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સ્વામીને જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે મુખ્ય કેસની સુનાવણીમાં હાજર રહે કોર્ટ જોશે.
જો કે બેન્ચે સ્વામીની અરજી પર વિચારણા માટે તૈયારી દર્શાવી અને જણાવ્યું કે તેમણે મુખ્ય કેસમાં કોઈ ચંચૂપાત કર્યો નથી અને અલગથી રિટ પિટિશન કરી છે તેમજ તેમના અયોધ્યામાં ભગવાન રામની પૂજા માટેના તેમના મૂળભૂત અધિકારની વાત કરી છે.
સ્વામીએ જણાવ્યું હતું કે, જમીનના હક કરતા પણ મારો મૂળભૂત અધિકાર વધુ મહત્વનો છે. ભગવાન રામની પૂજા કરવા માટે તાત્કાલિક સુનાવણી થાય તે માટે મે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
અયોધ્યા કેસની સુનાવણી ૨૬મીએ હાથ ધરાશે. આ બેન્ચમાં પાંચ જજો પૈકી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ એ બોબડે, ડી વાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ એ નઝીરનો સમાવેશ થાય છે.