પુલવામા હુમલા બાદ દેશભરમાંથી પાકિસ્તાન પર ફિટકાર વરસી રહ્યો છે ત્યારે મુસ્લિમ આગેવાન અને એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આગઝરતુ નિવેદન આપીને હુમલાનાં માસ્ટર માઇન્ડને શેતાનનો ચેલો ગણાવ્યો હતો.
ઓવૈસીએ આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા જૈશ એ મહોમ્મદના સરગણા મસૂદ અઝહર માટે કહ્યુ છે કે આ હમલો પાક સરકાર, આઈએસઆઈ અને આર્મીના ઈશારે કરાયો છે. મસૂદ અઝહર મૌલાના નહી પણ શેતાનનો ચેલો છે.ઓવૈસીએ જૈશ એ મહોમ્મદને જૈશ એ શયાતીન એટલે કે શેતાન ગણાવીને કહ્યુ હતુ કે, જૈશ એ મહોમ્મદ એટલે કે મહોમ્મદ પયગંબર સાહેબનો સિપાહી એવો અર્થ થાય છે.
મહોમ્મદ સાહેબનો સિપાહી લોકોની હત્યા નથી કરતો,તે માનવતા પ્રત્યે દયાળુ હોય છે.હું પાક વડાપ્રધાનને કહેવા માંગુ છું કે ટીવી કેમેરા સામે બેસીને ભારતને સંદેશ ના આપે.તમે આ શરુ કર્યુ છે અને આ પહેલો હુમલો નથી.પઠાણકોટ અને ઉરીમાં પણ હુમલા થઈ ચુક્યા છે.
તેમણે પાક પીએમને કહ્યુ હતુ કે તમે ચહેરા પરથી શરાફતનો મુખવટો ઉતારી નાંખો.