પુલવામા આતંકી હુમલાને લઇને દેશભરમાં લોકોના ગુસ્સાનો પારો આસમાને પહોંચ્યો છે. જે અંતર્ગત ભારતીય કારોબારીઓએ પાકિસ્તાનથી સિમેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનથી પ્રગટ થનારા ધ ડોન અખબાર મુજબ ભારતીય વેપારીઓએ પાકિસ્તાનથી મોકલેલા ૬૦૦-૮૦૦ સીમેન્ટના કેન્ટેનરોને પાછા મોકલ્યા છે. કન્ટેનરો હાલમાં કરાચી પોર્ટ,કોલંબો અને દુબઇના બંદરે ઉતારવામાં આવ્યા છે.સરકારે આર્થિક અને રાજનીતિક મોર્ચે પાકિસ્તાનને પછાડીને એની સામે કઠોર નિર્ણય લેવાનું શરૂ કર્યુ છે. આ પગલા હેઠળ પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો તેમજ પાકિસ્તાનથી આવનારી ચીજ વસ્તુઓ પર ૨૦૦ % જેવી આયાત ડ્યુટી લગાડી દેવામાં આવી. બીજી બાજુ દેશના વેપારીઓએ પણ પાકિસ્તાનને સાનમાં લાવવા પોતાની તરફથી જવાબ આપવાની તૈયારીઓ કરી દીધી છે.દર વર્ષે પાકિસ્તાન રૂ.૭થી૮ કરોડ ડોલર્સ( રૂ.૫૦૦-૫૭૨ કરોડ)નો સિમેન્ટ ભારતને વેચાણ કરે છે.
વધુમાં પાકિસ્તાની અખબારે જણાવ્યુ કે ભારત ૭૫% જેટલી સિમેન્ટ પાકિસ્તાનની તરફથી આયાત કરે છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં જુલાઇથી જાન્યુઆરી સુધીમાં પાકિસ્તાને ભારતને ૬.૪૮ લાખ ટન સિમેન્ટ નિકાસ કરી હતી. જો ૨૦૧૭-૧૮ની વાત કરવામાં આવે તો પાકિસ્તાને ૧૨.૧૨ લાખ સિમેન્ટ ભારતને મોકલી હતી. અને ૨૦૧૬-૧૭માં પાકિસ્તાને ભારતને ૧૨.૫૩ લાખ ટન સિમેન્ટની નિકાસ કરી હતી.પાકિસ્તાનમાંથી મુખ્યત્વે ફળો, સિમેન્ટ,પેટ્રોલિયમ ઉત્પાદનો, ખનીજ સામગ્રી, લોખંડનો ઓર તેમજ તૈયાર ચામડાની વસ્તુઓ આયાત કરે છે. જો કે પુલવામા હુમલા બાદ આ વેપારને ફટકો પડી શકે છે. આ ઉપરાંત ભારતના ચા નિકાસકારોએ પાકિસ્તાનને ચા ન મોકલવાનો નિર્ણય કરવાની વાત કરી છે.જો આર્થિક મોરચે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનનો કુલ વ્યાપાર ૨૦૧૬-૧૭માં ૨.૨૭ અબજ ડોલર હતો જે ૨૦૧૭-૧૮માં વધીને ૨.૪૧ અબજ ડોલરે પહોંચ્યો હતો. ૨૦૧૭-૧૮માં ભારતે ૪૮.૮ કરોડ ડોલર માલની આયાત પાકિસ્તાનથી કરી હતી જ્યારે ભારતે ૧.૯૨ અબજ ડોલરના માલની નિકાસ કરી હતી.
આગળની પોસ્ટ