રાજ્યસભાના સાંસદ નારાયણ રાણેએ શિવસેના-ભાજપના જોડાણ પર આકરી ટિપ્પણી કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ રાણેએ કહ્યું કે આ તો થવાનું જ હતું પરંતુ તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ગઠબંધન થવા છતાં બંને પક્ષોના નેતાઓના ચહેરા પર ખુશી જણાતી ન હતી. આગામી ચૂંટણીમાં બંને પક્ષો ભલે સાથે આવે પરંતુ શિવસેનાનું પતન રોકવું મુશ્કેલ છે કારણ કે તેમની બે મોઢાની વાતો સ્પષ્ટ દેખાઇ રહી છે. રાણેએ દાવો કર્યો કે શિવસેનાને મહારાષ્ટ્રમાં ૨૩ બેઠકોમાંથી ૧૦ બેઠકો પણ નહીં મળે. રાણેએ કહ્યું કે ભલે બંને પાર્ટીઓ સાથે આવી પરંતુ સ્થાનિક સ્તરે બંને પાર્ટીઓના કાર્યકરોમાં નારાજગી છે. નારાણય રાણે શિવસેના અને કોંગ્રેસ છોડ્યા બાદ મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટી બનાવી છે.મહત્વનું છે કે રાણેએ આવું એટલા માટે કહ્યું હોઈ શકે કારણ કે, ભારતીય જનતા પાર્ટી સાથે બેઠક વહેંચણી મુદ્દે સહમતી સધાઇ ગયાના એક દિવસ બાદ શિવસેનાએ પુલવામા હુમલા મુદ્દે ભાજપને ચેતવણી આપી. શિવસેનાએ કહ્યું કે સરકાર એવો વ્યવહાર ન કરે કે જેનાથી એવા આરોપોને બળ મળે કે તે ચૂંટણી પરિણામને પ્રભાવિત કરવા માટે યુદ્ધ છેડવાનો પ્રયાસ કરી રહી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યું કે રાજકીય ફાયદા માટે તોફાનો અને આતંકવાદી હુમલાનો ઉપયોગ કરવો જોઇએ નહીં.