મોટા ભાગના પક્ષોએ ઇવીએમ મશીનમાં ફરીથી શ્રદ્ધા દાખવી છે, પણ કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર કુપ્રચાર કરી રહ્યા હોવાની વાત મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) સુનીલ અરોરાએ જણાવી હતી. સુનીલે મશીન બગડવા અને એની સાથે છેડછાડ કરવા બાબતના ફરક વિશે સમજાવતા જણાવ્યું હતું કે અત્યાર સુધી એકેય મશીનમાં છેડછાડ કરી હોવાની વાત એકેય કોર્ટમાં સાબિત નથી થઇ.
તાજેતરમાં જે વ્યક્તિએ ઇવીએમ હેક કરવાનો દાવો કર્યો હતો, એની સામે એફઆઇઆર નોંધવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે એના દાવા પ્રમાણે એ ઇસીઆઇએલનો ભૂતપૂર્વ કર્મચારી પણ નહોતો. સુનીલે જણાવ્યું હતું કે મોટા ભાગના પક્ષોએ ઇવીએમ મશીનમાં ફરીથી શ્રદ્ધા દાખવી છે, પણ કેટલાક પક્ષ વીવીપેટ સ્લીપની ગણતરી કરવાની માગણી કરી રહ્યા છે. એની કાર્ય પદ્ધતિથી અને એ દ્વારા મતદાન કઇ રીતે કરી શકાય એ વિશે લોકો પરિચિત થાય એ માટે કેટલાક પક્ષ મશીનોના ડેમો માટે વધુ લોકો ફાળવવાની વાત કરી રહ્યા છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, મધ્ય પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમમાં ચૂંટણીઓ થઇ હતી. દરેક જગ્યાએ જુદા પરિણામો આવ્યા હતાં, પણ કેટલાક અસંતોષી જીવો પોતાના અંગત સ્વાર્થ માટે ઇવીએમ મશીનમાં છેડછાડના આક્ષેપ કરતા હોય છે. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઑર્ગેનાઇ-ઝેશન અને નેશનલ સેમ્પલ સર્વે ઑર્ગેનાઇઝેશનના નિષ્ણાતો વીવીપેટ મશીનની ગણતરી વિશેનો રિપોર્ટ ટૂંક સમયમાં રજૂ કરશે.