જૂનાગઢનાં વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. એક પરિવારની માતાએ બે બાળકોને સાથે ઝેરી દવા પી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચારમચી જવા પામી છે. ઝેરી દવાની અસરના કારણે સારવાર દરમ્યાન માતા અને તેના છ વર્ષના પુત્રનું કરૂણ મોત નીપજયું હતુ. જયારે આ બનાવમાં માતાની નાની પુત્રી બચી હતી પરંતુ પાછળથી સારવાર દરમ્યાન તેણીનું પણ મોત નીપજયું હતું. આમ, ઝેરી દવા પી સામૂહિક આત્મહત્યાના બનાવમાં માતા અને તેના બે સંતાનો એમ ત્રણેય જણાંના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, ઘરકંકાસથી કંટાળીને માતાએ સંતાનો સાથે વખ ઘોળ્યુ હોવાની વાત સામે આવી રહી છે. જો કે સ્થાનિક પોલીસે આત્મહત્યા પાછળના સાચા કારણ અને વાત જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના વિસાવદરના પિયાવા ગામે એક માતાએ બે બાળકો સાથે આજે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની અસરથી પીડિત માતા અને તેના સંતાનોને સ્થાનિકોએ તાત્કાલિક નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જો કે, દવાની અસર વધુ થઇ જતાં માતા અને તેના છ વર્ષના પુત્રનું કરૂણ મોત નીપજયું હતું. જયારે બાળકીની હાલત ગંભીર હોઇ તેણી પણ સારવાર હેઠળ દાખલ કરાઇ હતી પરંતુ તેનું પણ પાછળથી કરૂણ મોત નીપજયુ હતું. બનાવને પગલે સમગ્ર પિયાવા ગામ અને વિસાવદર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને માતા અને તેના માસૂમ છ વર્ષના પુત્રના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી સ્થાનિક ગ્રામજનોમાં ફેલાઇ ગઇ હતી. સ્થાનિક પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ