તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીઓ દ્વારા 08 ફેબ્રુઆરી 2019ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિન” ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વિરમગામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસની ટીમ દ્વારા પપેટ શો દ્વારા લાભાર્થીઓને“રાષ્ટ્રીય કૃમિનાશક દિન”ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકામાં 1 થી 19 વર્ષના બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવશે. વિરમગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત રજુ કરવામાં આવેલ કાર્યક્રમમાં નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા “રાષ્ટ્રીય કૃમિનાશક દિન”ની માહીતી આપવામાં આવી હતી.
વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, 8 ફેબ્રુઆરી 2019 ના રોજ“રાષ્ટ્રીય કૃમિનાશક દિન” ની ઉજવણીના ભાગ રૂપે વિરમગામ તાલુકાના 1 થી 19 વર્ષની વય જુથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા,શાળામાં જતા કે શાળામાં ન જતા બાળકોને એક જ દિવસે ઉંમર પ્રમાણે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવશે. કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની,પેટમાં દુઃખાવો, ઉલ્ટી તથા ઝાડા, વજન ઓછુ થવુ જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે. તાલુકા હેલ્થ ઓફિસની ટીમ દ્વારા વિરમગામ ખાતે પપેટ શો દ્વારા કૃમિનાશક દિન અંગે સમજ આપવામાં આવી હતી.
તસવીર:- વંદના નીલકંઠ વાસુકિયા