દેશમાં દિવસે ને દિવસે આત્મહત્યા અને દુષ્કર્મના બનાવોએ માઝા મૂકી છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આવી જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આ પ્રકારના કિસ્સા એક પછી એક ચકચારી કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આજે શહેરના વાસણા વિસ્તારમાં એક આવા જ કિસ્સાએ ભારે ચકચાર મચાવી હતી. વાસણા વિસ્તારમાં એક ગરીબ પરિવારની ૧૩ વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, બીજીબાજુ, સગીરાના પરિવારજનોએ તેમની પુત્રી પર દુષ્કર્મ આચરાયું હોવાનો ગંભીર આરોપ લગાવતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં વાસણા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વાસણાના નીલકંઠ સ્ટ્રીટ ખાતેનીઆ ઘટના છે. જ્યાં વાસણામાં પ્રથમા બ્લડ બેંક પાસે જડીબાનગર ખાતે રહેતી અને ઘરકામ કરતી ૧૩ વર્ષીય સગીરાએ આપઘાત કરી પોતાના જીવનનો અંત આણ્યો છે. જોકે, આ મામલામાં મૃતક સગીરાના પરિવારજનોએ એક યુવક પર એવો આરોપ લગાવ્યો છે કે, તેણે મૃતક સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. જેના કારણે સગીરાએ આત્મહત્યા કરી લીધી છે. હવે આ મામાલામાં સગીરાના પરિવારજનોએ સગીરાની લાશ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો છે. મૃતક સગીરાના પરિવાજનો અનુસાર, સગીરા જ્યારે ઘરકામ કરવા ગઇ હતી ત્યારે યુવાન ઘરમાં એકલો હતો અને તેને ઘરમાં કોઇ ન હોવાની તકનો લાભ ઉઠાવી ૧૨ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. બીજીબાજુ, વાસણા પોલીસે મૃતક સગીરાની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી છે. હવે મૃતક સગીરાના પરિવારજનો આ મામલામાં ન્યાયની માંગ કરી રહ્યા છે, જેને લઇ મામલો ગરમાયો છે. પોલીસે હાલ તો અકસ્માત મોત નોંધી તપાસ કરી છે પરંતુ બીજીબાજુ, કેસને લઇ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે, ૧૩ વર્ષની સગીરા ગળેફાંસો કેવી રીતે ખાઇ શકે, એવું શું થયું કે તેણીને આત્મહત્યા કરવી પડી ? જો સગીરા રહે છે, જડીબાનગર તો, તેણીએ ફાંસો કેમ નીલકંઠ સ્ટ્રીટ ખાતે ખાધો તે સહિતના અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. બીજીબાજુ, પરિવારજનોના ગંભીર આક્ષેપોને લઇ પોલીસે ખરાઇની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર ૧૩ વર્ષની સગીરા દ્વારા ગળે ફાંસો ખાઇ આત્મહત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.