ગરીબ પરિવારોને વર્ષોથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અપાતા પ્રાથમિક ઇંધણ કેરોસીન પર શનિવારથી રાજ્ય સરકારે પ્રતિબંધ મુકયો છે. કેરોસીન બંધ થઇ જતા લાખો ગરીબ પરિવારોને ભારે મુશ્કેલી સર્જાશે. ચોમાસાની સિઝનમાં કેરોસીન પર આશરો રાખી પ્રાયમસ પર રસોઇ બનાવી રાંધેલું અનાજ ખાતા ગરીબ પરિવારોમાં આભ ફાટી પડવા જેવી મુશ્કેલી આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સરકાર દ્વારા નિરંતર કેરોસીન પર કાપ મુકવાનું શરૂ કરાયું હતું અને આખરે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. રૂ. ૦.૧૫ પૈસાથી શરૂ થયેલું કેરોસીન અત્યારે ૨૭ રૂપિયાને ૧૦ પૈસા ભાવે મળતું હતુ. જે પણ હવે બંધ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે એપીએલ કાર્ડ ધારકોનું કેરોસીન બંધ કરાયું છે.
બીપીએલ અને અંત્યોદર ધારકોને કેરોસીન મળશે જે પણ થોડા સમય પછી બંધ કરી દેવાની ફીરાક હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. શરૂઆતમાં કાર્ડ વિના અમર્યાદીત પ્રમાણમાં લોકોને કેરોસીન આપવામાં આવતું હતુ. બાદમાં કાર્ડની શરૂઆત થતા કાર્ડ દીઠ ૧૮ લિટર કેરોસીન આપવામાં આવતું હતું સમયાંતરે બીપીએલ અને અંત્યોદર કાર્ડ આવતા કેરોસીનમાં કાપ મુકવાની શરૂઆત કરી દેવાઇ હતી. જેમાં છેલ્લે બીપીએલ અને અંત્યોદર ધારકોને વ્યકિત દીઠ ૨ લિટર અને કાર્ડ દિઠ ૮ લિટર કેરોસીન અપાતુ હતું. જયારે એપીએલ કાર્ડ ધારકોને વ્યકિત દીઠ ૨ લિટર અને કાર્ડ દીઠ ૪ લિટર કેરોસીન મળતું હતું. જોકે ૧લી સપ્ટેમ્બરથી એપીએલ ધારકોને કેરોસીન આપવાનુ બંધ કરવામાં આવ્યું છે. માહિતી મુજબ અમદાવાદમા જ ૨ લાખથી વધુ એપીએલ કાર્ડધારકો છે. ત્યારે આખા રાજ્યમાં લાખો કુંટુબોને મળવાપાત્ર કેરોસીન હવેથી બંધ થઇ જશે.
પાછલી પોસ્ટ