થોડા દિવસ પહેલા એવી અટળકો આવી હતી કે ફિલ્મ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ભોપાલથી લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તેનો જવાબ હવે કરીના કપૂર ખાને આપી દીધો છે. કરીનાએ આ વાતને એક અફવા ગણાવી છે અને તેમાં કોઈ સત્ય નથી એમ કહ્યું છે.
એક ખાનગી વેબસાઇટને ઈન્ટરવ્યૂ આપતા કરીનાએ કહ્યું કે ચૂંટણી લડવાની વાત એકદમ ખોટી છે અને તેના માટે અત્યાર સુધી કોઈએ તેમનો સંપર્ક કર્યો નથી. જ્યારે આ સમય તેમનું સંપૂર્ણ ધ્યાન માત્ર ફિલ્મો પર જ કેન્દ્રિત છે.નોંધનીય છે કે કેટલાક દિવસો પહેલા એવા સામાચાર વહેતા થયા હતા કે કરીના કપૂરને કોંગ્રેસ મારફતે લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી શકે છે અને તેઓ ભોપાલ,મધ્યપ્રદેશથી ચૂંટણી લડી એવી શક્યતા છે. પરંતુ હવે આ બધી ખબરોને કરીના કપૂર ખાને તદ્દન નકારી છે.
રિપોર્ટ મુજબ કોંગ્રેસના એક સ્થાનિક પાર્ષદે રાહુલ ગાંધીને પત્ર લખી કરીના કપૂર ખાનને ભોપાલથી ચૂંટણી લડાવવાની માંગ કરી હતી. જેના પછી રાજનૈતિક ક્ષેત્રે કરીના કપૂર ખાન લોકસભા ચૂંટણી લડશે એવી અટકળોને વેગ મળ્યો હતો. જોકે આ અટકળોમાં સતત વધારો થતા કરીના કપૂરે એક વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપતા સ્પષ્ટતા કરી છે કે તેઓ ચૂંટણી નહીં લડે.ફિલ્મોની વાત કરીએ તો કરીના કપૂર ખાન કરણ જોહરની આગામી નિર્દેશિત ફિલ્મ તખ્તમાં દેખાશે. આ ફિલ્મમાં કરીના સિવાય રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, જાહ્નવી કપૂર, ભૂમિ પેડનેકર પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થશે.