કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મિડીયા સામે નિવેદન આપ્યું છે કે મેહૂલ ચૌકસી, નિરવ મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુઓને હાલમાં પાછા લવાયેલા ક્રિશ્ચિયન મિશેલની જેમ દેશમાં પાછા લવાશે. જાવડેકરે કહ્યું કે સરકાર જનતાની લૂંટેલી પાઇ પાઇ વસૂલ કરીને જ રહેશે. હાલમાં ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના પીએનબી કૌંભાડના આરોપી મેહુલ ચૌકસીએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. પત્રકારોએ જ્યારે આ બાબતે જાવડેકરની પ્રતિક્રીયા પુછી હતી ત્યારે કેન્દ્રીય મંત્રીએ આ પ્રકારનો જવાબ આપ્યો હતો. પીએનબી કૌંભાડમાં નિરવ મોદી પણ આરોપી છે તો બીજી બાજુ માલ્યા પર પણ ભારતીય બેન્કોનું રૂપિયા ૯ હજાર કરોડનું દેવું ચૂકવવાનું બાકી છે. આ ત્રણેય દેશ છોડીને ભાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે રૂપિયા ૩૬૦૦ કરોડના ઓગસ્ટા વેસ્ટલૈન્ડના કૌંભાડમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચયન મિશેલને ભારત સરકાર દુબઇથી પ્રત્યાર્પણ સમજૂતી મુજબ પાછી લાવવામાં સફળ થઇ હતી.એક ચોંકાવનારું નિવેદન કરતા કેન્દ્રીય માનવસંસાધન પ્રધાન જાવડેકરે જણાવ્યું કે, પહેલાની કોંગ્રેસ સરકાર મેહુલ ચોકસી, નિરવ મોદી અને વિજય માલ્યા જેવા દેવાદારોને કોઇ સિક્યોરિટી વિના લોન આપવા બેંકો પર દબાણ લાવતી હતી. જયા સુધી કોંગ્રેસ સરકાર હતી, આ લોકો દેશ છોડીને ભાગ્યા નહોતા. મોદી સરકારના આવ્યા બાદ માલ્યા, નિરવ અને ચોકસીને એ વાતનો અહેસાસ થઇ ગયો હતો કે આવા કૌંભાડ હવે નહિ કરી શકાય અને પરિણામે ત્રણેય દેશ છોડીને ભાગ્યા. વધુમાં જાવડેકરે ઉમેર્યું કે જે રીતે ભારત સરકારે ક્રિશ્ચિયન મિશેલને પ્રત્યર્પણથી પાછી લઇ આવી તે જ રીતે માલ્યા-નિરવ-ચોકસીને પણ બોધપાઠ શીખવાડાશે. ત્રણેયની વિદેશોમાં રહેલી સંપત્તિઓનો કબજો લઇ લેવાશે.
આગળની પોસ્ટ