સંઘના સર કાર્યવાહ ભૈયાજી જોશીએ પ્રયાગરાજના કુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિર વર્ષ ૨૦૨૫ એટલે કે આગામી લોકસભાની ચૂંટણીના એક વર્ષ બાદ બની જશે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે જોશીએ કહ્યું કે, ૧૯૫૨માં સોમનાથ મંદિરની સ્થાપના સાથે દેશ ઝડપથી આગળ વધ્યો હતો. ૨૦૨૫માં રામ જન્મભૂમિ ઉપર મંદિર બન્યા બાદ દેશને વધુ એક ગતિ પ્રાપ્ત થશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ દેશ આગામી ૧૫૦ વર્ષ માટેની પૂંજી પ્રાપ્ત કરશે.જોકે, આ નિવેદન બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે ૨૦૨૫માં રામ મંદિરના નિર્માણની વાતનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું કે, અમારી ઇચ્છા છે કે મંદિર બને. ૨૦૨૫ સુધી નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જાય એવી અમારી ઈચ્છા છે. હવે આ કેવી રીતે કરવું તે સરકારે વિચારવાનું છે. મંદિરનું કામ ૨૦૨૫માં શરૂ થશે તેવી કોઈ વાત નથી. જો આજે રામ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવે તો તેને બનવામાં પાંચ વર્ષ લાગશે.
બીજી તરફ ભૈયાજી જોશીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારીએ સવાલ ઉઠાવ્યા હતા. ઇકબાલ અન્સારીએ કહ્યું કે, આ કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં છે. નેતાઓ કેવી રીતે તારીખ જણાવશે. ચૂંટણી નજીક આવતા જ જાતિ અને ધર્મની રાજનીતિ શરૂ થઈ જાય છે. જો રાજનીતિ જ કરવી હોય તો વિકાસની કરો. જનતાને વિકાસ જોઈએ છે. સરકારને બદનામ કરવા માટે લોકો આવા નિવેદન આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિકાસનું કામ કરી રહ્યા છે. સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે.
ભૈયાજી જોશીએ એવા પણ સંકેત આપ્યા હતા કે અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કેન્દ્ર સરકારના વટહુકમ વગર શક્ય નથી. તેમણે કહ્યું કે પહેલા પણ સ્વામી વિવેકાનંદનું સ્મારક બનાવવાના વિરોધમાં અમુક શક્તિઓએ અવાજ ઉઠાવ્યો હતો. એ વખતે ૩૨૫ સાંસદોએ સંસદમાં લેખિતમાં પોતાની સહમતિ દર્શાવી હતી. આજે એ પ્રકારની જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
પાછલી પોસ્ટ