મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજયમાં હરેક પ્રજાજન નાગરિકને ઘરઆંગણે શુધ્ધ પીવાનું પાણી પુરુ પાડવા સર્વગ્રાહી આયોજન સરકારે કર્યું છે. સરફેસ વોટર પુરુ પાડીને ગુજરાતને હેન્ડ પમ્પ ટેન્કર બોર મુક્ત રાજય બનાવવાની નેમ તેમણે દર્શાવી હતી. મુખ્યમંત્રી સાબરકાંઠાના ઈડર વડાલી ખેડબ્રહ્મા નગરોને પર્યાપ્ત પાણી પુરુ પાડનારી ૯૬.૧૨ કરોડની ધરોઈ આધારિત પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ અવસરે સંબંધોન કરી રહ્યા હતા.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં સરફેસ વોટર આપવાની દિશામાં રાજય સરકાર કાર્યરત છે. ૧૬૭ નગરો અને ચાર હજાર ઉપરાંત ગામડાઓમાં સરફેસ વોટર પહોચાડ્યુ છે. એટલું જ નહી ૬૦૦ કિ.મી દુરથી નર્મદા ઉકાઈ ધરોઈ અને કડાણામાંથી પાઈપલાઈન દ્વારા રાજયના અનેક વિસ્તારોમાં પાણી પહોચાડ્યુ છે. આ પ્રસંગે સાપાવાડા કોટન માર્કેટ, ખેતપેદાશોના સંગ્રહ માટેના ૧૦ ગોડાઉન, અરોડા અને વિરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ભદ્રેસર અને દેશોતર સબ સેન્ટર મુડેટી ખાતે રાજય અનામત પોલીસ દળની ઓફિસ બેરેક આવાસ, હિમતનગર ખાતે ૧૯૨ જેટલા નવીન પોલીસ આવાસ, પોશીના ખાતે નવીન પોલીસ સ્ટેશન આવાસો, ખેડબ્રહ્મા ખાતે સ્ટાફ કર્વાટર તથા ડી-૧ યુનિટ સહિત ૨૦૭ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરાયુ હતું. વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ હિમતનગર અંબાજી માર્ગને ચારમાર્ગીય ફોરલેન બનાવવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ કામ હાલ પ્રગતિમાં છે. ૩૨૬ કરોડના ખર્ચે આ કામ હાથ ધરાયુ છે. રસ્તો પહોળો કરવા ઉપરાંત મુસાફરોની સુરક્ષા અને પદયાત્રીઓની સલામતીને પણ પ્રાધાન્ય આપ્યું છે.
રાજયમાં ધાર્મિક સ્થાનોને જો માર્ગો પર પગદંડી બનાવવા રાજય સરકાર આગ્રહી છે અને હિમતનગર અંબાજી ચાર માર્ગી પર પણ એ દિશામાં રાજય સરકાર કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજથી ઈડર વડાલીના જનતાને રોજ રોજ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે. અગાઉ ૪૫ વર્ષ સુધી શાસનમાં રહેલી કોંગ્રેસ પ્રજાની સમસ્યાઓ ઉકેલી નહી. દીર્ધદ્રષ્ટિ આયોજન અને ઈચ્છાશક્તિના અભાવે પ્રજાની ઈચ્છાઓ ન સંતોષાઈ પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આયોજનબધ્ધ અને દીર્ધદ્રષ્ટિથી કામ કરીને જનસુવિધાઓ ઉપલબ્ધ કરી એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, અમારી સરકાર ગરીબો પીડિતો શોષિતોની સરકાર છે ત્યારે જરૂરિયાતમંદોને સસ્તી દવા ગુણવત્તાયુક્ત સારવાર સસ્તા ઓપરેશનની સુવિધા ઉભી કરી છે. ગરીબોને માત્ર ૧૦માં ભોજન, જમીન વિહોણાઓને મકાન આપવાની દિશામાં રાજય સરકાર આગળ વધી રહી છે. સાથે સાથે જ્યોતિગ્રામ યોજના દ્વારા અંધરા ઉલેચ્યા છે એટલું જ નહી પરંતુ ખેડુતોની વીજ કનેકશનની માંગ સંતોષવા રાજય સરકાર કૃતનિશ્વયી છે. મુખ્યમંત્રીએ રાજયમાં રસ્તા ગટરના પૂર્ણ કરાયેલા કામોની વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સદાચારી વ્યસનમુક્ત અને અહિંસક ગુજરાત બને તે માટે કટિબધ્ધ રાજય સરકાર ગૌહત્યા અટકાવવા ગૌસુરક્ષા માટેનો નિર્ણય કર્યો છે અને દારૂબંધીનો અમલ કડક બનાવ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને સમૃધ્ધ ગુજરાત નિર્માણ માટે આહવાન કર્યું હતું.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે રાજયના સર્વસમાવેશક વિકાસની નેમ રાખી છે અને તેના પગલે તમામ જિલ્લાઓનો સમતોલ વિકાસ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ઈડર વિધાનસભા વિસ્તારમાં ૫ હજાર કરોડના વિકાસકામો કરાયા છે. સાથે સાથે ખેડુતોના હિત માટે ગોડાઉન બનાવાયા છે અત્યાર સુધીમાં ૪૮૨ કરોડના ગોડાઉન બન્યા છે અને આજે નવ દશ ગોડાઉન કાર્યાન્વિત કરાયા છે. આજ વિસ્તારમાં ૬૩૫ કરોડના રસ્તાના કામો પાંચ વર્ષમાં સંપન્ન થયા છે.
આગળની પોસ્ટ