એસઓજી ક્રાઇમ બ્રાંચે આજે એક મહત્વના ઓપરેશનમાં શહેરમાંથી દસ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લીધા હતા. એસઓજી ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ શહેરના વટવા અને નારોલ વિસ્તારમાંથી કુલ દસ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિટેઇન કરી તેઓ કેટલા સમયથી અહીં આવ્યા હતા અને અન્ય કોઇ ગુનાહિત પ્રવૃત્તિમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસનો દોર આગળ ધપાવ્યો છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની પ્રાથમિક પૂછપરછમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, તેઓ બાંગ્લાદેશી નાગરિકો છે અને ભારતના વિઝા વિના ગેરકાયદે રીતે બોર્ડર પાર કરી ભારતમાં પ્રવેશ કરી અહીં અમદાવાદમાં આવ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા હતા. શહેરમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝબ્બે કરવા મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ શહેરના વટવા પીરાણા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં છ બાંગ્લાદેશી ઘૂસણખોરો પોલીસના હાથે ઝડપાયા હતા. તેમણે કબૂલ્યું હતું કે, તેઓ બાંગ્લાદેશી છે અને ગેરકાયદે રીતે અહીં આવી વસવાટ કરી રહ્યા છે. આ જ પ્રકારે એસઓજી ક્રાઇમબ્રાંચના અધિકારીઓની બીજી ટીમે શહેરના નારોલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને રંગેહાથ ઝડપી લીધા હતા. તેઓ ભારતીય નાગરિકત્વના કોઇ જ આધાર-પુરાવા રજૂ નહી કરી શકતાં પોલીસે તેઓને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી હતી.
એસઓજી ક્રાઇમબ્રાંચે આ બાંગ્લાદેશી ઘૂસણોખોરો કોની મદદથી અહીં આવીને ગેરકાયદે વસવાટ કરતાં હતા, તેઓ કેટલા સમયથી અહીં આવ્યા હતા અને તેઓ કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા તો નથી ને તેમ જ આ સિવાય તેઓની સાથે અન્ય કેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો અહીં આવ્યા છે તે સહિતની બાબતોની તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.