ગુજરાતના મહેસુલ, શિક્ષણ અને સંસદીય બાબતોના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અને વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ આજે સાંજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીમાં નર્મદા ડેમ સાઇટ ખાતે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગામી તા. ૧૨ મી ઓગષ્ટ, ૨૦૧૭ ના રોજની સંભવિત મુલાકાત દરમિયાન યોજનારા સૂચિત કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું હતું.
ઉક્ત મંત્રીશ્રીઓની આ મુલાકાત દરમિયાન રાજ્યના અગ્રણીશ્રી ભરતભાઇ પંડ્યા, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, જિલ્લા અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ અને શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, સરદાર સરોવર નર્મદા નિગમ લિ. મુખ્ય ઇજનેરશ્રી વ્યાસ, અધિક્ષક ઇજનેરશ્રી આર.જી. કાનુનગો સહિત અન્ય ઇજનેરો તેમની સાથે જોડાયા હતા.
મંત્રીશ્રી ચૂડાસમાએ અને શ્રી તડવીએ જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા પોલીસતંત્ર અને નર્મદા નિગમના વરિષ્ઠ ઇજનેરશ્રીઓની ઉપસ્થિતિમાં નર્મદા ડેમ સાઇટ ખાતે એ-ફ્રેમ ગ્લાસ કેબીન ડેમની નજીકના વ્યુ પોઇન્ટ વગેરે સ્થળોની મુલાકાત લઇ જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે સ્થળ ઉપર વિચાર-વિમર્શ કર્યો હતો અને મંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી.
કેવડીયા કોલોની ખાતે નર્મદા યોજનાના ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અસરગ્રસ્તો તરફથી તેમની માંગણીઓ સંદર્ભે લાંબા સમયથી ઉપવાસ બેઠેલા અસરગ્રસ્તોની માંગણીઓ અંગે સરકારશ્રી સાથે સમાધાન થતા તેમજ ટ્રીબ્યુનલના કાયદાકીય મુદ્દાઓ બાબતે ટ્રીબ્યુનલની માર્ગદર્શિકા મુજબ જરૂરી કાર્યવાહી કરાશે તેવી સમજૂતી થતા આજે મંત્રીશ્રી ચૂડાસમા અને રાજ્યમંત્રીશ્રી તડવી, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ડિરેક્ટરશ્રી જશવંતભાઇ ભીલ તેમજ જિલ્લા વહિવટીતંત્ર અને નર્મદા નિગમના વરિષ્ઠ ઇજનેરશ્રીઓની ઉપસ્થિતિમાં મંત્રીશ્રી ચૂડાસમા અને મંત્રીશ્રી તડવીએ ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા.